મુખ્યમંત્રીના નિવાસ્થાને હેમ રેડિયો સ્ટેશન શરૂ કરાયું, કનેક્ટિવિટી બંધ થવાના સંજોગોમાં CM કોઈપણ અધિકારીનો કરી શકશે સંપર્ક

  • June 15, 2023 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ બન્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી નિવાસ્થાને હેમ રેડિયો સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું છે. પ્રથમ વાર રાજ્યના મુખ્યમંત્રીના નિવાસે હેમ રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે.  સ્ટેટ કન્ટ્રોલ રૂમ ખાતે પણ હેમ રેડિયો સ્ટેશન અને એસડીઆરએફનું વાયરલેસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવનોથી ટાવરો અને વીજળીને અસર થવાને લઈ કનેક્ટિવિટી બંધ થવાના સંજોગોમાં આ સ્ટેશનો ઉપયોગી થશે. હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ કનેક્ટિવિટી બંધ થવાને લઈ મુખ્યમંત્રી નિવાસસ્થાને હેમ રેડિયો સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કોઈપણ સમયે નિવાસ્થાને થી જ તમામ પ્રશાસન સાથે સંપર્કમાં રહી શકે તે માટે સ્ટેશન ઊભું કરાયું છે. 



સી.એમ. ડેશબોર્ડ દ્વારા બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપત્તિને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાથી ૦થી ૫ તથા ૫થી ૧૦ કિ.મી. વિસ્તારના ૧૬૪ ગામોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સરપંચોને સ્થળાંતર અંગેની તથા વાવાઝોડા સામે સાવચેતીની સમજ આપવામાં આવી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગર, કચ્છ અને ગીર-સોમનાથ જિલ્લાના ગામોના સરપંચોનો મુખ્યમંત્રીના સી.એમ. ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્ર મારફતે સંપર્ક કરીને તેમના ગામોની સ્થિતિની માહિતી મેળવી હતી. 

સરપંચોએ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા મળી રહેલી મદદ માટે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ સંભવિત વાવાઝોડાની સ્થિતિમાં દરિયાકાંઠાના ગામોનો સંપર્ક સતત જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.  રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા ચક્રવાત-વાવાઝોડાના પવનની તીવ્રતા તથા અન્ય અસરો અંગે મેળવવામાં આવેલા ડેટાના આધારે મુખ્યમંત્રીએ મીટિગેશન માટેના લાંબા ગાળાના ઉપાયો યોજી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અને સર્વેક્ષણનું સૂચન કર્યું હતું.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત વિપત્તિને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત સંકટને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી.  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે.  મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.


 તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ.  મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application