ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતા માધવપુર ઘેડના પાંચ દિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ

  • March 30, 2023 09:57 PM 



Aajkaalteam


ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતા માધવપુર ઘેડના પાંચ દિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. પ્રવાસનને વેગ આપવા બજેટમાં રૂ.૨૦૦૦ કરોડની જોગવાઈ કરી ત્રણ ગણા વધારા સાથે એક ભારત - શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસન વિકાસને નવી દિશા આપી છે


ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની થીમ પર આયોજિત "માધવપુરના મેળા"નો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે. તેના માધ્યમથી ભારતના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાની અદભુત પ્રસ્તુતિ થઈ રહી છે, જે ભરોસો આપે છે કે ભારતની એકતા પર ક્યારેય કોઈ આંચ નહિ આવે.


મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી, આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, આ મેળા થકી આપણે ઉત્તર પૂર્વના રાજ્યોને આપણી સાથે જોડ્યા છીએ. કલા, સંસ્કૃતિ, સંગીત, કળા અને ઉદ્યોગ વગેરે થકી વિવિધ રાજ્યોને જોડવાના પ્રયાસોના ભાગરૂપે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ પણ કરવા જઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. 


મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરતા, રાજ્યમાં ૧૮થી ૩૦ માર્ચ દરમિયાન વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટમાં ઉત્તર પૂર્વના હસ્તકલા કારીગરો માટે હસ્તકલા મેળા યોજાયા હતા. જેમાં તેમને ૧ કરોડ ૨૯ લાખ રૂપિયાનો બિઝનેસ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતના લોકો સમગ્ર વર્ષ દરમિયાન પણ ટેકનોલોજીના માધ્યમથી ઉત્તર પૂર્વના લોકો પાસેથી ખરીદી કરતા હોય છે. 


રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ વખતે પ્રવાસનના બજેટમાં ત્રણ ગણો વધારો કરીને રૂ. ૨૦૦૦ કરોડની જોગવાઈ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસનને નવી દિશા આપી  છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ દેશભરના લોકોને માધવપુરના મેળામાં આવીને અહીંની સંસ્કૃતિને માણવા માટે આમંત્રણ આપ્યું હતું. સંબોધનના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ સૌને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રૂકમણીજીના વિવાહપ્રસંગ તેમજ રામનવમી પર્વની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રીશ્રી કિરણ રિજીજુએ મેળામાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાતો આ મેળો આજે સંસ્કૃતિ, કલાની સાથે સાથે રમત ગમત, મીડિયા આદાન પ્રદાન વગેરે થકી વ્યાપક બન્યો છે. માત્ર ભૌગોલિક સ્થળો જ નહીં પરંતુ સાંસ્કૃતિક ભાવનાઓનું જોડાણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું કાર્ય વડાપ્રધાનશ્રી આ પ્રકારના કાર્યો થકી કરી રહ્યા છે. 


તેમણે કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રૂકમણીજીના વિવાહનું આ પવિત્ર સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારૂ છે. આ મેળો સમય જતાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું મિલન જ નહીં પરંતુ સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે. ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ મોદી જેવા વ્યક્તિત્વો જ નહીં, પરંતુ મહેનત તથા ખંતથી દેશને કઈ રીતે વિકાસની રાહે આગળ વધારી શકાય તેની શીખ પણ લોકોને આપી છે. દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ અને ગુજરાતીઓની મહેનતને-પરિશ્રમને પણ તેઓએ બિરદાવી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઉત્તર પૂર્વના કલાકારો-દરિયાઈ રમતોના ખેલાડીઓને ગુજરાતની ધરતી પર પ્લેટફોર્મ મળે તે માટે કરાયેલા આયોજનને આવકાર્યું હતું.

 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application