પાલીતાણા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

  • December 27, 2023 07:04 PM 

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગર જિલ્લાનાં પાલિતાણા ખાતે ખરતરગચ્છ સહસ્ત્રાબ્દી મહોત્સવ'નાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલએ તેમનાં વકતવ્યમાં કહ્યું હતું કે, સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો જ ભારતીય સંસ્કૃતિનાં પ્રાણ છે. રાજ્યપાલએ વધુમાં ઉમેર્યું હતુ કે 'ખરતગરચ્છ સહસ્ત્રાબ્દી' એટલે કે એક હજાર વર્ષની ઉજવણી આજે થઈ રહી છે. આજનાં ભૌતિકવાદભર્યા યુગમાં જો કોઈ ધર્મ કે સંપ્રદાયે તેનાં મૂળભૂત સિદ્ધાંતો જાળવી રાખ્યા હોય તો આ સિદ્ધાંતો ક્યારેય જૂનાં નહિ થાય અને સદૈવ પ્રસ્તુત રહેશે. રાજ્યપાલએ કહ્યું કે જૈન ધર્મનાં 24 તીર્થંકરોએ ભારતીય સમાજની ગરિમા અને ગૌરવ વધારી લોકોને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે, અને તેમનાં જીવન પ્રશસ્ત બનાવ્યા છે. મહાવીર સ્વામીએ આપેલા સિદ્ધાંતો અને દર્શને લોકોનાં જીવન સરળ બનાવવાનું કામ કર્યું છે. આ ઉપરાંત આપણાં દેશની કલા, સંસ્કૃતિ, વાસ્તુ અને સાહિત્યને સમયાંતરે નવજીવન આપવાનું કામ આપણાં આચાર્યોએ કર્યું છે. આજથી 1000 વર્ષ પહેલાં રાજા દુર્લભના દરબારમાં આચાર્ય જિનેશ્વરસૂરિજીએ શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરી સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા હતા. જેને 1000 વર્ષ પૂર્ણ થવા પર આ ઉજવણી થઇ રહી છે, તે બદલ તમામ આયોજકો અને મહેમાનોને મારાં સાધુવાદ વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં આચાર્ય ભગવંત જિનપિયૂષસાગરસૂરિશ્વરજી, સમ્યકરત્નસાગરજી, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, લલિત નાહટા, પોસ્ટમાસ્ટર જનરલ બી.એલ. સોનલ, મહેન્દ્ર ગઢિયા, સુપારસ ગોલછા, નરેન્દ્ર પારખ, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પાલીતાણા પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સહિતનાં મહાનુભાવો અને મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application