પ્રાણવાયુ આપનારને નવા પ્રાણ

  • September 12, 2024 11:29 AM 

ઇટ્રા અને હાર્ટફૂલનેસ દ્વારા એક સદી જૂના વડલાને જીવતદાનનો નૂતન પ્રયાસ


જામનગર ખાતે છેલ્લે આવેલાં અનરાધાર વરસાદ અને તોફાની પવન જેવી સ્થિતિમાં ઇટ્રા ખાતેના ધન્વંતરી મેદાન ખાતે એક સદીથી પણ જૂનો વડલો ધરાશાયી થયો હતો. આ વડલો આયુર્વેદ સંસ્થાનને જામનગરના નામદાર રાજવી પરિવાર તરફથી સાંપડેલાં આયુર્વેદ પરિસરની સાથે જ મળ્યો હતો! તે વાતાવરણની તોફાની સ્થિતિમાં તા. ૨૮ ઓગસ્ટના રોજ પડીભાંગતા તેને ફરી જીવતદાન આપવાનો અભિનવ અને અભિન્ન પ્રયોગ થવા જઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના ઇતિહાસમાં આ ઘટના સૌપ્રથમ વખત થવા જઇ રહી છે. એક વૃક્ષનું મહત્વ જીવનમાં અનેક ગણું છે ત્યારે તેને મૂળથી ઉખડી ગયા બાદ પણ ફરી સજીવન કરવાનો આ પ્રયોગ એ અનોખી અને નવી દીશા ખોલનારી ઘટના ગણાય. દેશના યશસ્વિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા જ્યારે ‘એક પેડ માં કે નામ’ સંકલ્પ કરાયો છે ત્યારે આ ઘટના તેનું અનુમોદન ગણાય.


મૂળથી ઉખડી ગયેલાં આ વડલાને ઇટ્રા અને હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે આ કાર્ય કરશે. અઠાર કાલક સુધીની જહેમત અને આધુનિક મહાકાય સાધનોના ઉપયોગ બાદ વડલાને તેના મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે સાથોસાથ તેમાં જરૂરી દવાઓ અને ખાતર પણ ઉમેરવામાં આવશે. મોટા થાંભલાઓ વડે તેને ટેકો (થોડા સમય માટે) આપવામાં આવશે અને ત્યાર બાદ કૂંપળ ફૂંટતાં તેને સ્વતંત્ર રીતે ફરી વિસ્તરવા દેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વડલો ધરાશાયી થતાની સાથે જ ઇટ્રાના એસ્ટેટ વિભાગ દ્વારા બે કલાકના ટુંકા ગાળામાં વિવિધ સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે હાર્ટફૂલનેસ દ્વારા તુરંત આ પડકારરૂપ કાર્ય કરવા માટે ઉત્સુકતા બતાવી સંમતી દાખવી હતી.


ઇટ્રાના કાર્યકારી નિયામક પ્રો. બી. જે. પાટગીરી જણાવે છે કે સંસ્થાની જગ્યા જામ રજવી પરિવાર દ્વારા જ્યારથી અર્પણ કરવામાં આવી હતી ત્યારથી આ વડલાની હયાતી છે એટલે તેનું મહત્વ અનેક ગણું છે. વડલો ફરી સજીવન પામે તે અમારા માટે ગર્વની લાગણી સમાન છે.


હાર્ટફૂલનેસ સંસ્થાના સંયોજક સચિનભાઇ વ્યાસ જણાવે છે કે વર્તમાન અનિયંત્રિત વાતાવરણની સ્થિતિએ અનેક વૃક્ષો ધરાશાયી થતા રહે છે પણ પીઢ અને ઘેઘૂર વૃક્ષોને ફરી રોપણ દ્વારા જીવતદાન એ વર્તમાન સમયની માંગ અને આવશ્યક બાબત છે. હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્યાર સુધીમાં ૪૦૦૦થી વધુ આવા વૃક્ષોને પુનઃ સજીવન કરવામાં આવ્યાં છે એટલું જ નહીં પરંતુ તેમાં ૧૦૦% સફળતા મેળવી છે. આ વડલો તો એક સદીથી પણ વધુ ઉંમર ધરાવે છે એટલે તે મહત્વનો છે.


એક દિવસની સતત અને ત્રણ માસની સઘન સાર-સંભાળ દ્વારા નવજીવન



બે મહાકાય ક્રેઇન અને જે.સી.બી.ના ઉપયોગથી વડલાને મૂળ સ્થાને ફરી રોપવામાં આવશે. ત્રણથી ચાર મોટા થાંભલા દ્વારા વડલાને તેના મૂળ જમીનમાં ફરી પકડ ન જમાવે ત્યાં સુધી આધાર તરીકે ખોળવામાં આવશે. દસ જેટલાં કારીગરો અને તજજ્ઞો દ્વારા આ સમગ્ર નૂતન ઘટનાને આકાર આપવામાં આવશે. ખાસ પ્રકારના બાયોફર્ટિલાઇઝર-સ્ટિમ્યુલન્ટ અને ખાતર દ્વારા તેના મૂળીયા જમીનમાં પુનઃ ઊંડાણપૂર્વક મજબૂતાઇ જમાવે તેવું વાતાવરણ તૈયાર કરાશે. સતત એક માસ સુધી વડલાને પણી અને જરૂરી વાતવરણથી નવા પ્રાણ આપવાની અભૂતપૂર્વ ઘટના બની છે.


શું હોય છે વડલાની ખાસિયત...?


શાસ્ત્રો અને પુરાણોમાં વડલાને પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા થાય છે એટલું જ નહીં પરંતુ તેની હયાતીથી વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો થાય છે. માત્ર ધાર્મિક જ નહીં પણ પર્યાવરણની દ્રષ્ટીએ પણ વડલાનું અનેરૂ મહત્વ છે! વડના ઝાડની એક વિશેષતા એ પણ છે કે તે મૂળથી ઊખડી ગયા બાદ પણ તેની વડવાઇઓના આધારે વાતાવરણમાંથી પોતાની જીવનજરૂરી વાયુ અને પાણી મેળવે છે અને એક માસ સુધી તે જીવિત રહી શકે છે. આ વિશ્વમાં વડલાની ઘણી પ્રજાતિઓ છે અને તેનો જૂદીજૂદી રીતે ઉપયોગ થાય છે. પ્રાણવાયુ આપનાર વિરાટ વૃક્ષથી માંડી ઘરોમાં સુશોભન તરીકે પણ ઉપયોગ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application