જિલ્લા સેવા સદન-2 ખાતે દર અઠવાડિયાના ગુરૂવાર અને શુક્રવારે GST સેવા કેન્દ્ર કાર્યરત રહેશે
જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યોની રજૂઆત, કરદાતાઓની સમસ્યાઓ અંગે વિવિધ વેપારી સંગઠનોની રજૂઆત, સરકારનો કરદાતાલક્ષી અભિગમ તથા “Ease of Doing Business” નો હેતુ તેમજ મુખ્ય રાજ્ય વેરા કમિશનરશ્રી, ગુજરાત રાજ્યના સકારાત્મક અને જનહિતકારી અભિગમને અનુસરી, જામનગર જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને નવા GST નોંધણી સંબંધિત પ્રક્રિયામાં સહેલાઈ અને પારદર્શક સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર જામનગર ખાતે GST સેવાકેન્દ્ર શરૂ કરવામાં આવશે.
નવા GST નોંધણી માટે અરજી કરનાર કરદાતાઓના દસ્તાવેજોની ચકાસણી તથા આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા સરળ અને સમયસર રીતે પૂર્ણ થાય તે હેતુસર તા.26 જાન્યુઆરી થી GST સેવાકેન્દ્ર જિલ્લા સેવા સદન–2, બીજો માળ, લાલ બંગલો કેમ્પસ, જામનગર ખાતે દર ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે 10:30 થી 6:10 સુધી કાર્યરત રહેશે.
GST નોંધણી માટે દરેક નવી અરજીઓમાં સિસ્ટમ મુજબ સ્લોટ સિલેક્શન થોડા સમય માટે હાલ પુરતું જુનાગઢ દર્શાવવામાં આવી શકે છે તેમ છતાં આવી અરજીઓ માટે અરજદારોએ આધાર ઓથેન્ટિકેશન તથા દસ્તાવેજ ચકાસણી માટે નિર્ધારિત દિવસોમાં એટલે કે દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે જામનગર ખાતે આવેલ GST સેવાકેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે.
આ કેન્દ્ર ખાતે નવા GST નોંધણી માટે ઓનલાઈન અરજી કરનાર કરદાતાઓને અરજી બાદ તેમના આધાર કાર્ડની ઓથેન્ટિકેશન પ્રક્રિયા તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે, જેથી નોંધણી પ્રક્રિયામાં વિલંબ ટાળી શકાય અને ખોટી નોંધણી અટકાવી શકાય.
આ સુવિધા દ્વારા વેપારીઓ, ઉદ્યોગકારો તથા સામાન્ય જનતાને માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ થશે અને GST નોંધણી પ્રક્રિયા વધુ સુગમ બનશે. તમામ પાત્ર વ્યક્તિઓને આ સુવિધાનો લાભ લેવા તેમજ પૂછપરછ અથવા માર્ગદર્શન માટે ધારા પરીખ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો સંપર્ક (નં. 9714506560) કરવા નાયબ રાજ્ય વેરા કમિશનરશ્રી, વર્તુળ-24, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.