રાજકોટ એસટી બસપોર્ટ ઉપર રાત્રે નવથી સવારે પાંચ સુધી જીપીએસ સિસ્ટમ બંધ

  • February 08, 2025 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એસટી બસ પોર્ટમાં છેલ્લા ત્રણેક મહિનાથી રાત્રે નવથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી જીપીએસ સિસ્ટમ બંધ કરી દેવામાં આવતી હોય પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોઈ બેઠેલા મુસાફરો કઈ બસ કેટલે પહોંચી તે જાણી શકતા ન હોય ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને વારંવાર ઇન્કવાયરી વિન્ડોએ પૂછવા જાય છે. દરમિયાન ગત રાત્રે આ મામલે ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરાયાનું જાણવા મળે છે.
વિશેષમાં મુસાફરોએ જણાવ્યું હતું કે, રાજકોટ એસટી બસપોર્ટમાં છેલ્લા બે થી ત્રણ માસથી રાત્રે નવ થી સવારે પાંચ સુધી જીપીએસ સિસ્ટમ બંધ કરી દેવામાં આવે છે જે પગલે એસટી બસમાં રહેલ ટીવીની સ્ક્રીનમાં કાળુ ધબ હોય છે. અને પ્લેટફોર્મ નં.22 પાસે તો સ્ક્રીન છે જ નહીં સિસ્ટમ બંધ હોવાને પગલે ટ્રાફિક કંટ્રોલર અને મુસાફરોને બસનું લોકેશન જાણવા મળતું નથી. જે પગલે છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે ભારે દેકારો બોલી રહ્યો છે. અધિકારીઓ સમક્ષ અવાર નવાર મૌખિક ફરિયાદો કરવા છતાં જીપીએસ સિસ્ટમ કોઈ કારણસર ચાલુ કરવામાં આવતી નથી અને ખામીયુક્ત સેવા મુસાફરોને ભોગવવી પડે છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં રોજબરોજ 1500થી વધુ બસોની અવરજવર રહે છે રાત્રે પણ બસો આવતી હોય ત્યારે જીપીએસ સિસ્ટમ બંધ કરી દેવામાં આવતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર  નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદપોથી (પરિશિષ્ટ બ) તા.7 ફેબ્રુઆરી 2025ના ફરિયાદ નંબર 143536થી રાત્રે 11 કલાકે ફરિયાદ કરવામાં આવી છે. અને આ અંગે છેલ્લા ત્રણેક મહિનાથી સિસ્ટમ બંધ કરાતા સીસી ફૂટેજ મેળવીને જવાબદાર કોન્ટ્રાક્ટર કે અધિકારીને પેનલ્ટી કરવા રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડાયરેક્ટર અને રાજકોટના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરી દાખલારૂપ સજા કરવાની માંગ ઉઠાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application