ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનો આજે રાજકોટના રામનાથ પરા સ્મશાન ખાતે ગમગીન માહોલ વચ્ચે પંચમહાભૂતમાં વિલીન થયા. તેમના પુત્ર રૂષભ રૂપાણીએ તેમને મુખાગ્નિ આપી હતી. આ ક્ષણે ઉપસ્થિત હજારો રાજકોટવાસીઓ અને રાજ્યભરમાંથી આવેલા અગ્રણીઓની આંખો ભીની થઈ ગઈ હતી.
વિજય રૂપાણીની અંતિમ યાત્રામાં ઉમટેલા જનસાગર અને તેમના ગમગીન ચહેરાઓએ દર્શાવ્યું હતું કે તેઓ માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ લોકોના હૃદયમાં સ્થાન ધરાવતા એક લોકપ્રિય નેતા હતા. તેમની અનંત યાત્રામાં જોડાયેલા દરેક વ્યક્તિની આંખોમાં શોક અને દુઃખ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું.
રાજકોટવાસીઓ માટે વિજય રૂપાણીનું નિધન એક મોટી ખોટ સમાન છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યના વિકાસ અને લોકોના કલ્યાણ માટે અનેક કાર્યો કર્યા હતા, જે હંમેશા યાદ રહેશે. રાજકોટ શહેર અને રાજ્યભરમાંથી આવેલા અગ્રણી રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, અને સામાન્ય નાગરિકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે રાજકોટ શોકમય બન્યું હતું, કારણ કે તેમના પ્રિય નેતાએ અંતિમ વિદાય લીધી હતી.
12 જૂનના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક બાદ તેમનો DNA મેચ થતા, આજે રૂપાણી પરિવારને પાર્થિવદેહ સુપરત કરવામાં આવ્યો હતો.
બપોરે 2.30 વાગ્યે રૂપાણીનો પાર્થિવદેહ હીરાસર એરપોર્ટ પહોંચ્યો હતો. ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી અને વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને નિર્મલા રોડ પરની પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. રાજકોટ સ્થિત નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભીખુભાઈ દલસાણીયા, બી.એલ. સંતોષ, નીતિનભાઈ પટેલ, સી.આર. પાટીલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. સૌએ સ્વર્ગસ્થ રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સાંજે 7.40 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ સ્મશાનયાત્રામાં હૈયેહૈયું દળાય એટલી વિશાળ ભીડ ઉમટી પડી હતી. રાજકોટવાસીઓ પોતાના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને તેમને અંજલિ આપવા માટે લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા. વરસતા વરસાદમાં પણ વિજયભાઈને વિદાય આપવા લોકોની ભીડ સતત વધતી જતી હતી, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. રાત્રે 9.40 વાગ્યે સ્મશાનયાત્રા રામનાથપરા સ્મશાન પહોંચી હતી, જ્યાં 'વિજય ભાઈ અમર રહો' ના નારા સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech