વિદેશી રોકાણકારોનો મોહભંગ: માત્ર 2 મહિનામાં 1.12 લાખ કરોડના શેર વેચ્યા

  • February 26, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજાર કેટલાક સમયથી મોટા ઘટાડામાંથી પસાર થઈ રહ્યું છે. બજારની આ સ્થિતિના મુખ્ય કારણોમાં યુએસ ડોલર સામે રૂપિયામાં નબળાઈ, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડા અંગે ચિંતા અને વિશ્વભરમાં ટેરિફ યુદ્ધ વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા વેચાણનો સમાવેશ થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં એટલેકે માત્ર ૨ મહિનામાં એફઆઈઆઈ એ 1.12 લાખ કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા છે, જેના કારણે દલાલ સ્ટ્રીટ એક દિવસ નહીં પણ અનેક દિવસ માટે મંદીનો સામનો કરી રહી છે.


ભારતમાં શેરબજારના રોકાણકારો માટે છેલ્લા પાંચ મહિના પડકારજનક રહ્યા છે. બજારમાં મંદી ઓક્ટોબર 2024માં શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટી 14 ટકા અને સેન્સેક્સ તેના ઉચ્ચતમ સ્તરથી 13.2 ટકા નીચે આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી મિડકેપમાં ૧૭.૮ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧.૩ ટકાનો ઘટાડો થયો છે.


વિશ્લેષકોના મતે, આ ઘટાડા પાછળ વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલી મુખ્ય કારણ રહી છે. ૨૦૨૫માં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૧.૧૨ લાખ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. ચીનની સરકારે તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે પ્રોત્સાહક ઉપાયોની જાહેરાત કરી છે ત્યારે વિદેશી રોકાણકારો ભારતમાં વેચાણ કરી રહ્યા છે.


મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના અહેવાલ મુજબ, ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન એમએસસીઆઈ ઇન્ડિયા ઇન્ડેક્સમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે તેણે એમએસસીઆઈ ચાઇના ઇન્ડેક્સ કરતાં થોડા સમય માટે સારો દેખાવ કર્યો હતો. પરંતુ ત્યારથી એમએસસીઆઈ ચાઇના ઇન્ડેક્સે એમએસસીઆઈ ઇન્ડિયા ઇન્ડેક્સ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે.


વેલ્થમિલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર ક્રાંતિ બાટિનીએ જણાવ્યું હતું કે, મધ્યમથી ટૂંકા ગાળામાં, ચીની બજાર મૂલ્યાંકન નીચું રહ્યું છે. આવી સ્થિતિમાં, કેટલાક હેજ ફંડ્સ અને ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણો ચીનમાં જઈ રહ્યા છે. તેની સરખામણીમાં, નિફ્ટી તેના 5 વર્ષના સરેરાશ 23.9 ગણાના 21.3 ગણા અને 10 વર્ષના સરેરાશ 23.9 ગણાના કારોબાર કરી રહ્યો છે.


કોટક સિક્યોરિટીઝના ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં થાઇલેન્ડ સિવાયના તમામ મુખ્ય ઉભરતા બજારોમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.ફેબ્રુઆરીમાં વિદેશી રોકાણકારોએ ભારતમાં 218.9 મિલિયન ડોલર, બ્રાઝિલમાં 21 મિલિયન ડોલર, ઇન્ડોનેશિયામાં 38.1 મિલિયન ડોલર, મલેશિયામાં 59 મિલિયન ડોલર, ફિલિપાઇન્સમાં 5 મિલિયન ડોલર, દક્ષિણ કોરિયામાં 27.6 મિલિયન ડોલર, તાઇવાનમાં 111.4 મિલિયન ડોલર અને વિયેતનામમાં 235 મિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું. થાઇલેન્ડમાં 17 મિલિયન ડોલરનું ચોખ્ખું રોકાણ હતું.


વિશ્લેષકોએ જણાવ્યું હતું કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સંરક્ષણવાદી નીતિઓના પગલે ડોલરમાં મજબૂતાઈને કારણે ઉભરતા બજારોમાં વેચવાલી જોવા મળી છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણનું મુખ્ય કારણ ભારતીય બજારનું ઊંચું મૂલ્યાંકન છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો દર્શાવે છે કે ઉદ્યોગની કમાણીમાં 7 ટકાનો વધારો થયો છે, જે ઊંચા મૂલ્યાંકનને વાજબી ઠેરવતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application