BREAKING NEWS

બાબા બર્ફાનીના 5.5 ફૂટ ઊંચા હિમલિંગની પ્રથમ ઝલક આવી સામે, ઘરેબેઠા તમે પણ કરો દર્શન

  • July 03, 2026 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશ્મીરની બરફાચ્છાદિત પહાડીઓ વચ્ચે "બમ બમ ભોલે" અને "હર હર મહાદેવ"ના ગગનભેદી જયઘોષ સાથે પવિત્ર અમરનાથ યાત્રાનો આજથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે. યાત્રાના પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાલતાલ અને પહેલગામ એમ બંને પરંપરાગત રૂટ પરથી વહેલી સવારે અંધારામાં જ ભક્તોની પ્રથમ ટુકડીઓ પવિત્ર ગુફા તરફ રવાના થઈ હતી. મનમોહક અને ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો ભક્તો પવિત્ર ગુફાએ પહોંચ્યા હતા, જ્યાં આ વર્ષે 'બાબા બર્ફાની’ના ૫.૫ ફૂટ ઊંચા દિવ્ય અને ભવ્ય હિમલિંગની પ્રથમ ઝલક સામે આવી છે. કુદરતી રીતે બનેલા આ અલૌકિક હિમલિંગના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.


આ વર્ષે અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અભૂતપૂર્વ ક્રેઝ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ યાત્રા માટે પોતાનું આગોતરું રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. આ શ્રદ્ધાળુઓમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુજરાતના યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં સામેલ છે. ભક્તોના ધસારાને જોતા જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે શ્રદ્ધાળુઓ કોઈ કારણસર રૂબરૂ આવી શક્યા નથી, તેઓ પણ ઘરબેઠા બાબા બર્ફાનીના આ અદભુત નજારા અને આરતીના દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ડિજિટલ અને લાઈવ પ્રસારણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


યાત્રાના પ્રથમ જ દિવસે અંદાજે ૫,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દરબારમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. કાશ્મીરના પહાડો વચ્ચે બાબાનો આ અદભુત નજારો ભક્તો માટે અવિસ્મરણીય બની રહ્યો છે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધા એ સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. સંવેદનશીલ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર યાત્રા રૂટ પર લોખંડી અને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કેન્દ્રીય અર્ધસૈનિક દળો જેવા કે સીઆરપીએફ (CRPF), બીએસએફ (BSF), આઈટીબીપી (ITBP) અને ભારતીય સેનાના હજારો જવાનો મુસાફરોની સુરક્ષા કાજે માર્ગો પર ખડેપગે તૈનાત છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ડ્રોન અને સીસીટીવી કેમેરાથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


આ વર્ષની યાત્રામાં શ્રદ્ધાળુઓ માટે સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે, દર વર્ષની સરખામણીએ આ વખતે ગુફા તરફ જતા ટ્રેકિંગ રૂટને વહીવટી તંત્ર દ્વારા વધુ પહોળો અને સુદ્રઢ કરવામાં આવ્યો છે. રસ્તાઓ પહોળા થવાને કારણે શ્રદ્ધાળુઓની અવરજવર ખૂબ સરળ બની છે, જેનાથી અકસ્માતનો ભય ઘટ્યો છે અને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળી છે. આ ઉપરાંત, પહાડી વિસ્તારોમાં ઓક્સિજનની કમી કે સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફ ન પડે તે માટે દર ૨ કિલોમીટરના અંતરે આધુનિક સુવિધાયુક્ત મેડિકલ કેમ્પ ઊભા કરાયા છે. તેમજ ભક્તોની સુવિધા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્રના સહયોગથી દર ૩ કિલોમીટરે ભંડારા (અન્નક્ષેત્ર) કાર્યરત કરાયા છે, જ્યાં ગરમ ખોરાક અને રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application