ગોકુલધામના ૫૭૬ ભયગ્રસ્ત આવાસને આખરી નોટિસ

  • March 01, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ઉનાળાના પ્રારંભથી જ પ્રિ-મોનસૂન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભયગ્રસ્ત મિલકતોનો સર્વે કરી ધડાધડ નોટિસો આપવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરના ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજ પાછળના વિસ્તારમાં આવેલી ગોકુલ નગર આવાસ યોજનાના ૫૭૬ જેટલા ભયગ્રસ્ત આવાસને આખરી નોટિસ ફટકારવામાં આવી છે જો હવે ટૂંક સમયમાં રીપેરીંગ કરાવવામાં નહીં આવે તો તમામના નળ જોડાણ કપાત કરાશે તેવી તાકીદ કરાઇ છે.

વિશેષમાં મહાપાલિકાના ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે, વેસ્‍ટ ઝોનમાં સમાવિષ્‍ટ વોર્ડ નં.૧૨માં પંચશીલ સોસાયટી નજીક, ૮૦ ફુટ રોડની સામે, ગોકુલધામ આવાસ ક્વાર્ટર પૈકી ૫૭૬ ક્વાર્ટર ભયજનક હોય આ આવાસોના ભયગ્રસ્‍ત બાંધકામને આગામી ચોમાસાની ઋતુ પહેલા સુરક્ષિત સ્થિતિમાં કરવા અંગે અગાઉ વર્ષ-૨૦૨૪માં નોટીસ પાઠવવામાં આવી હતી પરંતુ આજ-દિવસ સુધી જે આવાસોના રીપેરીંગ થયેલ નથી તથા આ આવાસોનાં રહેવાસીનાં જાન-માલને જોખમ રહેલ હોય, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી વખત તા.૨૭ તથા તા.૨૮ના રોજ કુલ ૫૭૬ આવાસને નોટીસ આપી તાકિદ કરવામાં આવી છે. જો રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં નહિં આવે તો આ ભયગ્રસ્‍ત આવાસના નળ કનેકશન કપાત કરવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વેસ્ટ ઝોન વિસ્તારમાં ઉપરોક્ત પ્રકારે ભયગ્રસ્ત મિલકતોને નોટિસો આપવાની કાર્યવાહી શરૂ કરાય છે હવે તબક્કાવાર ઝોન વાઇઝ અને વોર્ડવાઇઝ ભયગ્રસ્ત મિલકત શોધીને નોટિસો ફટકારવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application