લોક મેળામાં 80 જેટલા સ્ટોલ-પ્લોટ ઓછા: ભાડું વધારાય તેવી શકયતા

  • July 12, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અગ્નિકાંડની ઘટના પછી ક્રાઉડ મેનેજમેન્ટ અને ક્રાઈસીસ મેનેજમેન્ટની બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના ભવ્ય અને ભાતીગળ લોકમેળામાં જેની ગણતરી થાય છે તે રાજકોટના જન્માષ્ટમીના મેળામાં સૌથી વધુ આકર્ષણ રાઈડનું હોય છે પરંતુ આ વખતે તેમાં મોટો કાપ આવશે તેવા નિર્દેશો મેળાના આયોજન સાથે સંકળાયેલા ટોચના અધિકારી વર્તુળો આપી રહ્યા છે.

અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ મેળામાં આ વખતે 10% સ્ટોલ અને પ્લોટ ઓછા રાખવાની ગણતરી માંડવામાં આવી હતી. પરંતુ આમ છતાં પરિસ્થિતિમાં ખાસ ફેરફાર પડે તેવું ન લાગતા કાપ વધારી દેવાયો છે અને હવે 80 જેટલા સ્ટોલ અને પ્લોટ ઘટાડી દેવામાં આવશે. આ માટેની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ છે અને કઈ કેટેગરીના કયા સ્ટોલમાં અને પ્લોટમાં કેટલો કાપ આવશે તેની ડિઝાઇન બનાવી દેવામાં આવી છે. કલેકટરની અંતિમ મંજૂરી મળ્યા પછી તે સંદર્ભે જાહેરાત કરવામાં આવશે.
ગયા વર્ષે મેળામાં પ્લોટ અને સ્ટોલની કુલ સંખ્યા 366 હતી તેમાં આ વખતે 80 પ્લોટ અને સ્ટોલનો કાપ મૂકી દેવાયો છે. આમાં સૌથી વધુ કાપ રાઈડમાં મુકાયો છે. ગયા વખતે યાંત્રિકની અલગ અલગ કેટેગરીમાં 44 રાઈડ હતી તેમાં 15 નો ઘટાડો નિશ્ચિત બન્યો છે. મેળામાં ગયા વખતે એન્ટ્રી અને એક્ઝિટ માટે ચાર ગેટ હતા તે આ વખતે વધારીને પાંચ કરવામાં આવ્યા છે. બ્લુપ્રિન્ટમાં જણાવ્યા મુજબ વોચ ટાવરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ક્વીક રેસ્પોન્સ ટીમ બનાવવામાં આવનારી છે.
પ્લોટ અને સ્ટોલની સંખ્યામાં ઘટાડા પછી સ્વાભાવિક રીતે જ આવકમાં પણ ઘટાડો થશે. પરંતુ આમાં બેલેન્સ કરવા માટે ભાડામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે હજુ આ સંદર્ભે કોઈ નિર્ણય લેવાયો નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application