સુરતમાં હીરાની મંદીએ વધુ એક પરિવાર ઉજાડ્યો, દેવું વધી જતા માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

  • March 08, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેર હીરાની મંદીના ભરડામાં આવી ગયું છે. હીરામાં મંદીને કારણે લોકો પર આર્થિક ભારણ વધ્યું છે. ત્યારે અમરોલી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યએ ઝેરી દવા ગડગટાવી જિંદગી ટૂંકાવી લીધી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.

મૃતકોનાં નામ


1. ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા)

2. વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા)

3. હર્ષ ભરતભાઈ સસાંગિયા (પુત્ર)


પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો
મળતી માહિતી પ્રમાણે, પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતાં આર્થિક સંકડામણને કારણે પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. મૃતકોના ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હતા. જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં આવેલી એન્ટિલિયા ડ્રીમ રેસિડેન્સીમાં બીજા માળે સસાંગીયા પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા-પિતા અને પુત્ર હતા. 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પત્ની વનિતાબેન હાઉસવાઈફ હતા. ત્રીસ વર્ષીય પુત્ર હર્ષ પણ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. જો કે, દિવાળી બાદ હીરામાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી.


આર્થિક સંકડામણ આખો પરિવાર અનુભવી રહ્યો હતો
હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા. જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા, તેની લોન ચાલતી હતી. જોકે, છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકડામણ આખો પરિવાર અનુભવી રહ્યો હતો.

​​​​​​​

ફ્લેટની લોનના હપ્તા ચડી ગયા હતાં
આ મામલે મૃતક ભરતભાઈના સાળાએ જણાવ્યું કે, મારા બનેવી અને ભાણો બન્ને હીરનું કામ કરતા હતાં. દિવાળી પછી મંદીને કારણે ધંધા બંધ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું, જેમાં લોનના હપ્તા ભરાયા નહિ. લોન ન ભરાતા ફ્લેટના ચારથી પાંચ હપ્તા ચડી ગયાં હતાં. ફ્લેટ અન્યને વેચી આપ્યો હતો અને એ લોકોને લોન બેઠી નહિ તેથી પૈસા માંગતા હતાં. ભાણાનો ફોન આવ્યો હતો કે, બે હજાર જોઈએ છે દવાખાના માટે એટલે મેં મોકલી આપ્યાં હતાં. એ લોકોએ મને કોઈ બીજી વાત કરી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application