અરજદારનો દોષ ન હોય છતાં ક્લેઈમ ન ચૂકવવો તે વીમા કંપનીની સેવામાં ખામી છે

  • April 14, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા નાની વાવડીના પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલાના બાઈકની ચોરી અંગેનો વીમા ક્લેમ અરજદારને છ ટકા વ્યાજ સાથે ચૂકવી દેવા એચડીએફસી વીમા કંપનીને હુકમ કર્યો છે.

કંપનીએ વિમો આપવાની ના પાડતા મોરબી શહેર /જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે રૂા. ૫૧,૯૭૫/- ૬ ટકાના વ્યાજ સાથે તારીખ ૩-૮-૨૦૨૩થી ચુકવવાનો ગ્રાહક અદાલતે આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, નાનીવાવડીના વતની પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા તા. ૨૪-૯-૨૦૨૨ના રોજ રાત્રે કામ પરથી ઘરે પરત ફરી પોતાની શેરીમાં રાખેલું બાઈક ચોરી થયું હતું. જે અંગે તેના બાઈકની વીમા કંપની એચડીએફસી એરગો જનરલ ઈન્સ્યુરન્સ સમક્ષ વીમા વળતર મેળવવા કાર્યવાહી હાથ ધરતા વીમા કંપનીએ વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ હોવાનું જણાવી વીમા વળતર ચૂકવવા ઇનકાર કરી દીધો હતો. આથી તેમણે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં અરજદાર વતી થયેલી રજૂઆતો દલીલો ધ્યાને લઇ કોર્ટે જણાવેલ કે ફરિયાદીએ વાહન ચોરાયું ત્યારે તાત્કાલીક જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ, પરંતુ પોલીસ ખાતાએ ત્યારે એવું જણાવેલ કે સાત આઠ દિવસ રાહ જુઓ, વાહન મળી જશે માટે ગ્રાહકનો કોઈ દોષ નથી. આ બાબત જાણતા હોવા છતાં વીમા કંપનીએ કલેઈમ નકારી દીધો છે તે વીમા કંપનીની સેવામાં ખામી છે, માટે વીમા કંપનીએ ગ્રાહકને રૂા. ૫૧,૯૭૫/- ૬ ટકાના વ્યાજ સાથે ફરિયાદની તા. ૩- ૮- ૨૦૨૩થી ચુકવવા અને ફરિયાદીને રૂા. ૫૦૦૦/- ખર્ચના આપવા તેવો ચુકાદો આપેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application