વરસાદી પાણીના ટીપેટીપાનો બચાવ કરવો જ‚રી

  • May 28, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચોમાસુ હવે નજીક છે ત્યારે વરસાદી પાણી વેડફાઈ જાય નહી તે માટે પોરબંદરની સામાજિક સંસ્થાએ શહેરીજનોને અપીલ કરી છે અને અગાસી ઉપરથી સીધેસીધું વરસાદનું પાણી બોરમાં ઉતારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ મહત્વના સુચનો કરતા જણાવ્યું છે કે,ચોમાસુ નજીકમાં છે અને દર વર્ષે વરસાદનું પાણી વેડફાઈ જતું હોય છે ત્યારે આ વર્ષે એ પાણીને બચાવવામાં આવે તો જળ સંચય સારી રીતે થઈ શકશે અને ઉનાળામાં તે કામ આવશે. 
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને કસ્તુરબાના પિયરના ઘરમાં પણ વરસાદી પાણી ભુગર્ભ ટાકામાં ઉતારવા માટેની સુવિધા વર્ષો પહેલા ઉપલબ્ધ કરાવાઈ હતી ત્યારે પોરબંદરવાસીઓએ પાણીનું ટીપે ટીપુ બચાવવું જોઈએ. 
રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત જેવા અર્ધ-શુષ્ક પ્રદેશોમાં પાણીની સમસ્યા દિનપ્રતિદિન ગંભીર બની રહી છે.ભુગર્ભજળનું સ્તર ઘટી રહ્યું છે, અને ઉનાળામાં પાણીની ભીડ વધી જાય છે.આવી પરિસ્થિતિમાંવરસાદી પાણીનો સંગ્રહ એક અસરકારક ઉપાય બની શકે છે. 
પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ  લોકોને વરસાદી પાણી બચાવવા માટે જાગૃત કરી રહી છે.દર વર્ષે, વરસાદનું પાણી નાળીઓ અને નદીઓમાંથી વહી જાય છે અને સમુદ્રમાં મળી જાય છે. જો આ પાણીને ભુગર્ભમાં રિચાર્જ કરવામાં આવે તો ભુગર્ભજળનું સ્તર સુધરી શકે,ગુજરાતમાં ઉનાળામાં પાણીની તંગી સામાન્ય છે. જો વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે, તો તે ઉનાળામાં ઘરેલુ, ખેતી અને પશુધન માટે ઉપયોગી થઈ શકે,વરસાદી પાણીનો સંગ્રહ કરવાથી ફાયદો થાય છે. આ પાણી જમીનની ફળદ્રુપતા વધારે છે અને પર્યાવરણને સ્વચ્છ રાખે છે.  
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,ટાંકા અથવા ડ્રમમાં પાણી ભરો, છત પરથી વરસાદી પાણીને પાઇપ દ્વારા ટાંકા અથવા ડ્રમમાં એકઠું કરી શકાય છે.  પાણીને શુદ્ધ કરવા માટે રેતી અને કાંકરાના ફિલ્ટરનો ઉપયોગ કરો.  જો ઘરમાં બોરવેલ હોય, તો છત પરથી પાણીને સીધું બોરમાં ઉતારી શકાય છે. 
જમીનમાં ૧૦-૧૫ ફુટ ઊંડા ગડ્ડા ખોદી, તેમાં રેતી, કાંકરા અને કાર્બન ફિલ્ટર લગાવી પાણી ભુગર્ભમાં પહોંચાડી શકાય છે.  મહાત્મા ગાંધીજી અને કસ્તુરબાના પિયરના ઘરમાં વર્ષો પહેલાં જ વરસાદી પાણીને ભૂગર્ભ ટાંકામાં સંઘરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પદ્ધતિ આજે પણ શહેરવાસીઓ માટે પ્રેરણાદાયી છે. રાજસ્થાનમાં ‘જોહડ’ અને ‘બાવડી’ જેવી પરંપરાગત પદ્ધતિઓ દ્વારા સેંકડો વર્ષોથી પાણીનો સંગ્રહ થાય છે. આ પદ્ધતિઓ ગુજરાતમાં પણ અપનાવી શકાય છે. 
 વરસાદી પાણીનો સંગ્રહ એ ભવિષ્યની પાણીની જરૂરિયાતો પૂરી કરવાનો સરળ અને કાર્યક્ષમ માર્ગ છે. દરેક ઘરે અગાસી પરથી પાણી એકઠું કરી, તેને બોરવેલ અથવા ટાંકામાં સંગ્રહવું જોઈએ. નાગરિકોની સહભાગિતાથી જળ સંરક્ષણનું આ મહત્વપુર્ણ કાર્ય સફળ બની શકે છે.  આમ,ટીપે-ટીપું પાણી બચાવો, ભવિષ્યને સુરક્ષિત કરો તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application