કિડની વેચીને પણ વ્યાજના પૈસા આપવા પડશે: ભાગીદારોને ધમકી

  • July 29, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા અને અહીં જ દૂધની ડેરી ધરાવનાર આધેડ અને તેના પાર્ટનરે ધંધાના કામ માટે વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજ વ્યાજખોરીના અજગર ભરડામાં ફસાયા હતા. રામનાથપરામાં રહેતા અને સર્વેશ્વર ચોકમાં ઓફિસ ધરાવનાર મોહસીન ઉર્ફે એઝાઝ ઉર્ફે બાબર નામના શખસે વ્યાજે આપેલા 6.70 લાખના બદલામાં 27 લાખ વસૂલ લીધા હોવા છતાં વધુ રૂપિયા છ લાખની માંગણી કરી વેપારીના નામે ક્રેટા કાર બે મોંઘા મોબાઈલ ખરીદી લઇ તેના હપ્તા પણ ભરવાનું દબાણ કરી કિડની વેચીને પણ અમને રૂપિયા આપવા પડશે તેવી ધમકીઓ પોતે તથા તેના માણસોને મોકલી આપતો હોય આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રેલ નગર વિસ્તારમાં શ્યામજી કૃષ્ણવમર્િ ટાઉનશીપ એફ/203 માં રહેતા નિલેશભાઈ શાંતિલાલ હિંડોચા(ઉ.વ 48) નામના વેપારીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામનાથપરામાં ગરૂડ ગરબી ચોક શેરી નંબર 4 માં રહેતા અને સર્વેશ્વર ચોકમાં ઓફિસ ધરાવનાર મોહસીન ઉર્ફ એઝાઝ ઉર્ફે બાબર રજાકભાઈ બ્લોચ તથા તેના માણસો શિવરાજસિંહ (રહે. મવડી, પુનિતના ટાંકા પાસે) શાહરૂખ અને સાહિલના નામ આપ્યા છે.
વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને રેલનગર દ્વારકા ચોક પાસે વી ફોર નામની દૂધની ડેરી આવેલી છે જે ડેરીમાં તેમની સાથે ભાર્ગવભાઈ ભરતભાઈ ભદ્રા પાર્ટનર છે. ધંધાના કામ અર્થે પૈસાની જરૂરિયાત પડતા ડિસેમ્બર 2021 માં તેમણે સર્વેશ્વર ચોકમાં ઓફિસ ધરાવનાર એઝાઝ ઉર્ફે બાબર પાસેથી રૂપિયા 15 હજાર રોજના રૂપિયા 100 વ્યાજ ચૂકવવાની શરતે લીધા હતા બાદમાં કટકે-કટકે કરી કુલ રૂપિયા 6.70 લાખ તેણે તથા ભાર્ગવભાઈ એઝાઝ પાસેથી લીધા હોય જેના બદલામાં ગુગલ પે તથા રોકડા મળી કુલ રૂપિયા 27 લાખ ચૂકવી દીધા હતા આમ છતાં વ્યાજ બાબતે એઝાઝે તેમને તથા તેમના પાર્ટનરને વિશ્વાસ લઈ રૂપિયા 12.21 લાખની લોન લેવડાવી ભાર્ગવભાઈના નામે ક્રેટા કાર લીવડાવી હતી જે ગાડીના હપ્તા એઝાઝને ભરવાના હતા પરંતુ તેણે કોઈ હપ્તો ભર્યો ન હતો આ ઉપરાંત એઝાઝે રૂપિયા 2.59 લાખની કિંમતના બે મોબાઈલ પણ લેવડાવ્યા હતા જેના હપ્તા પણ ફરિયાદી અને તેમના પાર્ટનર ભરતા હતા.
એઝાઝ અવારનવાર વ્યાજ તથા વ્યાજની પેનલ્ટી ભરવા બાબતે ધમકીઓ આપતો હોય અને ઓફિસે આખો દિવસ બેસાડી રાખી ગાળો આપતો હોય અને કહેતો કે બાર લાખ તો જોશે જ તારીખ 11/1/2024 ના શિવરાજ સિંહ અને એજાજ ફરિયાદીની ડેરી આવ્યા હતા આ સમયે ફરિયાદી તેમના પત્ની અને ભાર્ગવભાઈ હાજર હોય ત્યારે ધમકી આપી હતી કે બાર લાખ રૂપિયા અને હપ્તા ભરી દો નહિતર તમને બંનેને જાનથી મારી નાખવા પડશે અને ઘરનો કબજો લઈ લઈશું સામાન બહાર ફેંકી દઈશું. તેમ કહી ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે કિડની વેચીને પણ અમને રૂપિયા આપવા પડશે.આ સમયે ફરિયાદીના પત્ની હાથ જોડી રોડવા લાગતા આ બંને જણા અહીંથી જતા રહ્યા હતા.
બાદમાં તારીખ 20/1 ભાર્ગવભાઈએ રૂ.6,00,000 આ એઝાઝને આપ્યા હતા હજુ 6,00,000 આપવાના બાકી હોય તે બાબતે અવારનવાર ઉઘરાણી કરતો હતો તેમજ શાહરૂખ અને સાહિલ ફરિયાદીના ઘરે આવી ધમકીઓ આપવા લાગ્યા હતા જેનાથી કંટાળી જઈ તારીખ 3/4/2024 ના 4.5 લાખ એઝાઝના માણસ શાહરૂખને આપ્યા હતા.
વ્યાજખોરાના ત્રાસથી ફરિયાદી અને તેના પાર્ટનર ભાર્ગવભાઈ બંને ગત તારીખ 11/ 4/ 2024 ના રાજસ્થાન ચાલ્યા ગયા હતા જે સમયે તેમના પત્નીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવી હતી દસ દિવસ બાદ તેઓ પરત આવતા એઝાઝ સાથે સમાધાનની વાત ચાલી હતી પરંતુ એઝાઝ પોલીસમાં હાજર થયો ન હતો. બાદમાં આ બાબતે ફરિયાદીના પત્નીએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કયર્િ બાદ અંતે આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


વ્યાજખોરના ત્રાસથી બંને રાજસ્થાન ભાગી ગયા હતા
એઝાઝ અને તેના માણસો વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય જેના ત્રાસથી કંટાળી જઇ નિલેશભાઈ હિંડોચા અને તેમના ભાગીદાર ભાર્ગવભાઈ ભદ્રા બંને ગત તારીખ 11/ 4 ના રાજસ્થાન જતા રહ્યા હતા. તે સમયે નિલેશભાઈના પત્નીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ કરાવી હતી. દસ દિવસ બાદ બંને પરત આવ્યા હતા. ત્યારે સમાધાનની વાત થઈ હતી. પરંતુ એઝાદ પોલીસમાં હાજર જ થયો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application