બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાનના પેપરમાં થયેલી ભૂલ સુધારી

  • March 01, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 27 ના પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષાના પ્રશ્નપત્રમાં સર્જાયેલી ગેરસમજના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં પરીક્ષાથીઓને અન્યાય ન થાય તે માટે બોર્ડે મહત્વનો નિર્ણય કર્યો છે.

બોર્ડના સંયુક્ત પરીક્ષા નિયામક ના જણાવ્યા મુજબ ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં મુખ્ય પેજ પર સૂચના નંબર નવમાં આકૃતિવાળા/ ચાર્ટ પ્રશ્નોમાં સામાન્ય

વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપ્યા છે જેનું ખાસ ધ્યાન રાખવા, આ પ્રશ્નો માત્ર દ્રષ્ટિ હિન વિદ્યાર્થીઓ માટે જ છે તેમ જણાવેલું હતું.

પરંતુ પરીક્ષા દરમિયાન દ્રષ્ટિ હિન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સમાન ક્રમાંક ધરાવતા પ્રશ્નોની વચ્ચે ફક્ત દ્રષ્ટિ હિન વિદ્યાર્થીઓ માટે તેવું લખાયું હોવાથી પરીક્ષાર્થીઓને કયા પ્રશ્નોનો ઉત્તર આપવો તે સમજવામાં ભારે મુશ્કેલી પડી હતી. આ બાબતે બોર્ડને વ્યાપક પ્રમાણમાં રજૂઆતો મળી છે અને તે ધ્યાને લેતા વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીએ એક પ્રશ્નનો ઉત્તર આપ્યો હશે તેનું મૂલ્યાંકન કરી મળવા પાત્ર ગુણ આપવાનું નક્કી કરાયું છે.

દરમિયાનમાં આજે બોર્ડની પરીક્ષામાં બીજું પેપર શરૂ થયું છે. ધોરણ 10 માં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત ની પરીક્ષા સવારે 10 થી બપોરે 1:15 વાગ્યા દરમ્યાન લેવામાં આવી હતી. સામાન્ય પ્રવાહમાં આજે બપોરે ત્રણ વાગ્યાથી તત્વજ્ઞાનનું અને વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર છે. તારીખ 27 ના પ્રથમ દિવસે પેપરો પ્રમાણમાં સામાન્ય સરળ રહેવાના કારણે આજે પરીક્ષાર્થીઓના મનમાંથી બોર્ડની એક્ઝામનો હાવ નીકળી ગયો હોવાનું જણાયું હતું અને બેવડા ઉત્સાહ સાથે આજે પરીક્ષા આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application