BREAKING NEWS

અલ નીનો,આબોહવા પરિવર્તન વિશ્વમાં હિંસક સંઘર્ષો વધારશે !

  • May 14, 2026 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આબોહવા પરિવર્તન હવે માત્ર પર્યાવરણ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તે વૈશ્વિક શાંતિ માટે પણ મોટો ખતરો બની રહ્યું છે. એક તાજેતરના ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો થયો છે કે 'અલ નીનો' જેવી કુદરતી ઘટનાઓ વિશ્વભરમાં હિંસક સંઘર્ષો અને લડાઈનું જોખમ વધારે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે બદલાતું હવામાન સંસાધનોની અછત સર્જીને માનવ સમુદાયો વચ્ચે લોહિયાળ જંગ છેડી શકે છે.

'પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ' જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં સંશોધકોએ વર્ષ 1950થી 2023 સુધીના આશરે 555 સશસ્ત્ર સંઘર્ષોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે પણ પેસિફિક મહાસાગરમાં 'અલ નીનો' સક્રિય થાય છે, ત્યારે હિંસાની સંભાવનામાં નોંધપાત્ર વધારો થાય છે. આ આંકડાકીય પુરાવાઓ સાબિત કરે છે કે પર્યાવરણીય અસ્થિરતા સીધી રીતે સામાજિક અરાજકતા તરફ દોરી જાય છે.

અલ નીનો દર ત્રણથી સાત વર્ષે પેસિફિક મહાસાગરમાં સર્જાતી ગરમ પ્રક્રિયા છે, જે વિશ્વના હવામાનમાં ધરખમ ફેરફારો લાવે છે. તેના કારણે મધ્ય અમેરિકા અને દક્ષિણ આફ્રિકા જેવા વિસ્તારોમાં ભયંકર દુષ્કાળ પડે છે. જ્યારે ખેતી નિષ્ફળ જાય છે અને પીવાના પાણીની અછત સર્જાય છે, ત્યારે જીવિત રહેવા માટે લોકો અને જૂથો વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અછતને કારણે પેદા થતી ભૂખમરો અને આર્થિક તંગી હિંસક વિરોધ અને આંતરવિગ્રહમાં પરિણમે છે.

અભ્યાસમાં હિંદ મહાસાગરના દ્વિધ્રુવ જેને 'ભારતીય નિનો' પણ કહેવામાં આવે છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાઇસ યુનિવર્સિટીના આબોહવા વૈજ્ઞાનિક સિલ્વિયા ડીના જણાવ્યા મુજબ, આ ઘટનાને કારણે દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકાના હોર્ન વિસ્તારમાં ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક ભયાનક દુષ્કાળ જેવી 'આબોહવા વ્હિપ્લેશ' (અચાનક પરિવર્તન)ની સ્થિતિ સર્જાય છે. આ અચાનક આવતા ફેરફારો સંવેદનશીલ વિસ્તારોમાં સરકારોની વ્યવસ્થા ખોરવે છે અને અરાજકતા વધારે છે.

વૈજ્ઞાનિકોએ અનુમાન વ્યક્ત કર્યું છે કે આ ઉનાળામાં ફરી એકવાર મજબૂત અલ નીનોની સ્થિતિ સર્જાઈ શકે છે, જે દાયકાઓમાં સૌથી ભયાનક હોઈ શકે છે. જો આવું થશે, તો વિશ્વના અનેક દેશોમાં ખાદ્ય સુરક્ષા જોખમાશે. પાણી અને અનાજની વહેંચણીને લઈને દેશોની અંદર અને પડોશી દેશો વચ્ચે તણાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

આ અભ્યાસ સરકારો અને આંતરરાષ્ટ્રીય સહાય સંસ્થાઓ માટે એક ચેતવણી સમાન છે. આબોહવા પરિવર્તનને હવે માત્ર વૃક્ષો વાવવા કે પ્રદૂષણ ઘટાડવા સુધી મર્યાદિત ન રાખતા, તેને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા તરીકે જોવાની જરૂર છે. જો સમયસર આયોજન અને સંસાધનોનું વ્યવસ્થાપન કરવામાં નહીં આવે, તો કુદરતી આફતો માનવસર્જિત યુદ્ધોનું કારણ બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application