મિશ્ર ઋતુનો પ્રભાવ દોઢ માસમાં જિલ્લામાં તાવના ૬૧૦૦ કેસ

  • March 19, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ઘણા દિવસોથી ભાવનગર જિલ્લામાં સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ મિશ્ર ઋતુનું વાતાવરણ પ્રવર્તી રહયું છે.આથી શરદી,ખાંસી અને તાવના દર્દીઓ વધ્યા છે. છેલ્લા દોઢ માસમાં તાવના ૬૧૦૦,શરદી અને ખાંસીના ૪૩૬ કેસ જિલ્લામાં નોંધાયા છે.ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જિલ્લામાં ૩,૬૯,૯૧૬ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે.


  આ શિયાળાની ઋતુમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડી પડી જ નથી.સામાન્ય ઠંડી રહી છે.તેમાંય છેલ્લા એકાદ માસથી વહેલી સવારે અને રાત્રે ઠંડી અને દિવસે સારા એવા પ્રમાણમાં ગરમી પડી રહી છે.આથી મિશ્ર ઋતુનું વાતાવરણ પ્રવર્તી રહયું છે.જેના કારણે ભાવનગર જિલ્લામાં શરદી,ખાંસી અને તાવના દર્દીઓ વધ્યા છે.


  ભાવનગર જિલ્લામાં ફેબ્રુઆરીમાં શરદી અને ખાંસીના ૨૭૨ જ્યારે તાવના ૩૭૦૦ કેસ નોંધાયા છે.માર્ચ મહિનામાં ૧૬ તારીખ સુધીમાં શરદી અને ખાંસીના ૧૬૪, જ્યારે તાવના ૨૪૦૦ કેસ નોંધાયા છે.આમ,છેલ્લા દોઢ માસમાં જિલ્લામાં શરદી અને ખાંસીના ૪૩૬,જ્યારે તાવના ૬૧૦૦ કેસ નોંધાયા છે.


  આમ,શરદી - ખાંસી અને તાવના દર્દીઓ વધતા ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે સરવેલેન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.તાવના દર્દીઓની સ્લાઇડ લઈ મેલેરિયા છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે. મચ્છર ઉત્પતિ સ્થાનોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દર મંગળવારે ડ્રાય ડે એટલે કે પાણીના ખાડા વગેરેને સૂકવવામાં આવે છે.


  જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જિલ્લાના ૩,૬૯,૯૧૬ ધરોનો સર્વે કરવામાં આવ્યો છે.જેમાં કુલ ૨૬,૪૯,૦૦૦ પાત્રો(પાણી વગેરેના)ને તપાસવામાં આવ્યા છે.જેમાં ૩,૨૮૯ લાર્વા એટલે કે મચ્છર ઉત્પતિસ્થાનોમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકવામાં આવી છે તેમ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો.સી. ટી. કનઝરીયાએ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application