ખંભાળિયામાં મુશળધાર વરસાદને અનુલક્ષીને પાલિકા તંત્ર દ્વારા સઘન પગલા લેવાયા

  • July 02, 2024 10:43 AM 

મહાપ્રભુજી બેઠક, ગોવિંદ તળાવ સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટે કામગીરી



ખંભાળિયા તાલુકામાં બે દિવસના સમયગાળા દરમિયાન વસી ગયેલા 15 ઈંચ સુધીના વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં થોડો સમય પાણી ભરાયા હતા. આટલું જ નહીં, ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે પૂર જેવા પાણી વહેવા લાગતા શહેરમાં કોઈ ખાના ખરાબી ન સર્જાય તે માટે નગરપાલિકા તંત્ર સતત દોડતું રહ્યું હતું.


ખંભાળિયામાં રવિવાર તથા સોમવારે વરસેલા ભારે વરસાદના કારણે અહીંના નીચાણવાળા વિસ્તાર ગણાતા ગોવિંદ તળાવ ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસના સીધા માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગની ટીમએ જરૂરી સાધનો સાથે દોડી જઈ અને પાણીના માર્ગને ખુલ્લો કરાવ્યો હતો.


આ સાથે અહીંની મહાપ્રભુજી બેઠક અને યોગેશ્વર નગર વિસ્તારમાં આવેલા પૂલ કે જે ધરમપુર વિસ્તારમાંથી નીકળતા પાણીની વચ્ચે આવેલા છે, અહીં દર વર્ષે પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આ પુલ હેઠળથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી અહીં જેસીબી જેવા સાધનોની મદદથી ઝાડી, ઝાંખરા તેમજ કિચડ વિગેરે દૂર કરવાની કામગીરી કરાઈ હતી.


આ ઉપરાંત શહેરમાં વરસાદના કારણે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ ઝુંબેશ પર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે. રવિવારે અહીંની જી.વી.જે. હાઈસ્કૂલ પાસે માર્ગ આડે ધરાશાયી થયેલા એક વૃક્ષને નગરપાલિકા અને ફાયરની ટીમ દ્વારા કટરની મદદથી કાપી, અને માર્ગ ચોખ્ખો કરાયો હતો.


આ ઉપરાંત અહીં બસ સ્ટેશન સામે આવેલા તાલુકા સેવા સદનમાં વરસાદી પાણીના નિકાલ માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાની સૂચના મુજબ ચીફ ઓફિસર ભરત વ્યાસ અને સેનિટેશનના કર્મચારીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. મુશળધાર વરસાદના પગલે નગરપાલિકા તંત્ર પણ અવિરત રીતે કાર્યરત રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application