પીજીમાં પણ પૂરતા રજીસ્ટ્રેશન ન થતા આ તારીખ સુધી મુદતમાં વધારો કરાયો

  • June 07, 2025 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અંડર ગ્રેજ્યુએટ (યુજી) અભ્યાસક્રમોમાં કોલેજોમાં ઉપલબ્ધ બેઠકના પ્રમાણમાં અત્યંત ઓછા પ્રમાણમાં રજીસ્ટ્રેશન થયા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન (પીજી)માં પણ તેનું પુનરાવર્તન થયું છે. જુદા જુદા ફેકલ્ટીના અંતિમ વર્ષના પરિણામો જાહેર થયા પહેલા પીજીમાં રજીસ્ટ્રેશન માટેની શરૂ થયેલી પ્રક્રિયામાં ઓછી સંખ્યામાં રજીસ્ટ્રેશન થવાના કારણે હવે તેની મુદતમાં તારીખ 10 જૂન સુધીનો વધારો કરવામાં આવેલ હોવાની સત્તાવાર જાહેરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપરાંત જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગાંધીનગરની ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને પીજી એડમિશનમાં કવીક રજીસ્ટ્રેશન માટે તારીખ 10 જૂનની અંતિમ મુદત ઉચ્ચ શિક્ષણ વિભાગે આપી છે.

શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ રજીસ્ટ્રેશનના પ્રથમ રાઉન્ડની સાથોસાથ તારીખ 12 જૂન સુધી વેરિફિકેશન રાઉન્ડ પંદર દિવસ સુધી ચાલુ રહેશે. જીકાસ પોર્ટલ પર સબમીટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું પડશે. તારીખ 13 થી તારીખ 17 જૂન સુધી ટેકનિકલ પ્રોસેસ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી તારીખ 18 જૂન થી 20 જૂન સુધી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ યોજવામાં આવશે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગીન કરી સંબંધિત યુનિવર્સિટી- કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવાની રહેશે. મળેલી તમામ ઓફર પૈકી તમામ યુનિવર્સિટી/ કોલેજ/ પ્રોગ્રામ/ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવાની રહેશે અને ઓફર લેટરની પ્રિન્ટ લઈને પ્રવેશ માટે જે તે યુનિવર્સિટી કે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે. જે તે કોલેજ તથા યુનિવર્સિટી ખાતે નિયમ અનુસાર ફી ભરી ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.

પ્રવેશનો બીજો રાઉન્ડ તારીખ 23 અને 24 જૂનના રોજ, ત્રીજો રાઉન્ડ તારીખ 26 અને 27 જૂનના રોજ અને ચોથો રાઉન્ડ તારીખ 30 જુન તથા એક જુલાઈના રોજ યોજવામાં આવશે. રવિવારના દિવસે અને તારીખ 7 જૂનના રોજ જાહેર રજાના દિવસે પ્રવેશ અંગેની પ્રક્રિયામાં રજા રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application