સુરતમાં હોમિયોપેથીના ડોક્ટરે પોતાના જ હાથમાં એનેસ્થેસિયાના ઓવરડોઝ ઈન્જેક્શન મારી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ડોક્ટરે હોટલમાં પોતાની જિંદગી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે. આ ડોક્ટર મૂળ રાજુલાના વતની હતા. પોલીસને સુસાઈડ નોટ મળી આવી છે જેમાં તેની પત્ની ધારાનું બનાવ્યું છે અને I Love Dhara લખ્યું છે. તેમજ એક પેજ પર માત્ર ન્યાય શબ્દ લખ્યો છે.
મૃતક ડોક્ટરે હોટલમાં એક દિવસનું રોકાણ કર્યું
મળતી માહિતી મુજબ, સુરતના ગડોદરામાં ગઈકાલે હોટલ નેસ્ટના 8 નંબરના રૂમમાં ડો. ભાવેશે સુસાઈડ નોટ લખીને પોતાની જાતે જ ઈન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. મૃતક ડોક્ટરે હોટલમાં એક દિવસનું રોકાણ કર્યું હતું. તેણે રાત્રે એક વાગ્યે ચેક ઈન કર્યું હતું. પરંતુ ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતા પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા. ડોક્ટર ભાવેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
ઘરકંકાસને કારણે અંતિમ પગલું ભર્યું
સુસાઈડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતું, જેના પર ડોક્ટરે પોતાની પત્ની 'ધારા'નું ચિત્ર બનાવ્યું હતું અને એની આગળ "I Love Dhara" લખ્યું હતું, જ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર 'ન્યાય' શબ્દ લખ્યો હતો. તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. હાલમાં પોલીસે આ આપઘાત પાછળનું સાચું કારણ અને 'ન્યાય' શબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. જેથી આ તબીબે ઘરકંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે.
બે વર્ષ પહેલ ધારા સાથે લગ્ન થયા હતા
પ્રાપ્ત વિગત મુજબ, મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
ડોક્ટરે ડાબા હાથ પર ઇન્જેન્કશન મારી આપઘાત કર્યો
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, ડોક્ટર ભાવેશે એનેસ્થેશિયાનો ઓવરડોઝ ઇન્જેક્શન દ્વારા લીધો હતો. પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં આપઘાત કર્યો હતો. આ ઉપરાંત પોલીસને તબીબે મરતાં પહેલાં લખેલી સુસાઈડ નોટ પણ મળી છે. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.