અરબી સમુદ્રના ઈસ્ટ સેન્ટ્રલ ભાગમાં સર્જાયેલ ડિપ્રેશન છેલ્લી ૬ કલાકથી પ્રતિ કલાકના 13 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે સવારે 8:30 વાગ્યાના હવામાન ખાતાના બુલેટિનમાં જણાવ્યા મુજબ તે સૌરાષ્ટ્રના વેરાવળ બંદરથી 400 કિલોમીટર દૂર છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ સિસ્ટમ મુંબઈથી 510 અને ગોવાના પણજીથી ૬૬૦ કિલોમીટર દૂર છે. ટૂંક સમયમાં તે ડીપ ડીપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના જોવા મળે છે.
ગરમી ગાયબ થઈ ગઈ
દરિયાકાંઠાથી જેમ સિસ્ટમ નજીક આવતી જાય છે તેમ તેમ વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોરદાર રીતે વધતું જાય છે. આજે સવારે અમરેલીમાં 93, ભાવનગરમાં 91, દમણમાં 93, દીવમાં 98, કંડલામાં 93, સુરતમાં 92 અને વેરાવળમાં ૯૦ ટકા નોંધાયું છે. રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા રહેવા પામ્યું હતું. પવનની ગતિ સરેરાશ 12થી 15 કિમીની રહેવા પામી છે. ભેજનું પ્રમાણ વધુ હોવાથી ટાઢાબોળ પવન ફૂંકાય છે. જોકે લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થતો નથી. મહત્તમ તાપમાન ઘટી ગયું હોવાથી ગરમી ગાયબ થઈ ગઈ છે.
બે તાલુકાના બાદ કરતા રાજ્યમાં ક્યાંય એક ઈંચ કે તેથી વધુ વરસાદ નથી
અરબી સમુદ્રની સિસ્ટમના કારણે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ માટે તથા સૌરાષ્ટ્રમાં આજે અને કાલે એમ બે દિવસ માટે અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની અને બાકીની જગ્યાએ મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આ પ્રકારની આગાહી છેલ્લા ત્રણેક દિવસથી કરવામાં આવે છે પરંતુ વરસાદનું જોર ઘટી ગયું છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 45 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે અને તેમાં વલસાડ જિલ્લાના કપરાડા માં દોઢ અને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં સવા ઇંચ વરસાદ થયો છે. આ બે તાલુકાના બાદ કરતા રાજ્યમાં ક્યાંય એક ઈંચ કે તેથી વધુ વરસાદ થયો નથી.