સોમનાથ મંદિર ટ્રસ્ટની 22 વર્ષે જીત, મંદિરની 34,644 ચોરસ ફૂટ જગ્યા પરથી દબાણો હટાવવા મેગા ડિમોલિશન શરૂ, પોલીસનો જડબેસલાક બંદોબસ્ત

  • March 22, 2025 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર સામે આવેલા રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે શરૂ કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1માં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદીત જમીનમાં આવેલા 40થી વધુ રહેણાક મકાનમાં 150 જેટલા લોકો વસવાટ કરતા હતા. વર્ષ 2003માં આ મામલે વેરાવળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેને લઈ 2018માં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કોર્ટે વિવાદિત જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો. જો કે, તેમ છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી ન કરવામાં આવી ન હતી. વારંવાર નોટિસો છતાં જમીન ખાલી કરવામાં ન આવતાં આખરે આજે કોર્ટ કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, આજે વહેલી સવારથી કોર્ટ કમિશનરની હાજરીમાં આ કાર્યવાહી શરૂ થઈ છે. કાર્યવાહીમાં વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર શામળા, ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા છે. આમ આખરે 22 વર્ષે સોમનાથ ટ્રસ્ટની જીત થઇ છે. ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ હાલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી ચાલુ છે.


કાર્યવાહીની શરૂઆતમાં કોર્ટ કમિશનરની હાજરીમાં પોલીસે માઈક પર દબાણકારોને જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી પોતાની ઘરવખરી ખસેડવાનું શરૂ કર્યું છે. જો કે, આટલા વર્ષોથી રહેતા રહીશોને આમ ઘર ખાલી કરવાની ફરજ પડતાં તેઓ ભાવુક બન્યા હતા.

જડબેસલાક પોલીસ બંદોબસ્ત તહેનાત
કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 10 પોલીસ અધિકારીઓ ઉપરાંત LCB, SOG સહિત 100 જેટલા પોલીસ કર્મચારીનો જડબેસલાક પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application