9 દિવસ,12 કલાક અને 18700 ફૂટ ઉંચાઈએ ખોદકામ બાદ મળ્યા ત્રણ જવાનના મૃતદેહ

  • July 11, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગયા વર્ષે ઓક્ટોબરમાં લદ્દાખમાં પર્વતારોહણ અભિયાન દરમિયાન 18,300 ફૂટની ઊંચાઈએ હિમપ્રપાતમાં ચાર સૈનિકોના મોત થયા હતા, જેમાંથી એક સૈનિકનો મૃતદેહ ત્યારે જ મળી ગયો હતો જયારે ત્રણ સૈનિકો લાપતા હતા. જેમને શોધવા માટે સેના એ ખાસ ઓપરેશન હાથ ધાર્યું હતું અને હવાલદાર રોહિત કુમાર, હવાલદાર ઠાકુર બહાદુર આલે અને નાઈક ગૌતમ રાજવંશીના મૃતદેહો શોધી કાઢી પરિવારને સોપ્યા હતા. આ ઓપરેશનને ’ઓપરેશન આરટીજી નામ અપાયું હતું, જે માટે સેનાએ 9 દિવસ,12 કલાક અને 18700 ફૂટ ઊંચાઈએ ખોદકામ કરી 1 ટન બરફ નીચે દટાયેલા જવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ગયા વર્ષે ઓક્ટોબરમાં લદ્દાખમાં હિમસ્ખલનમાં 38 ભારતીય સૈનિકો ફસાયા હતા. દુર્ઘટના બાદ સેનાએ હાથ ધરેલા ઓપરેશનમાં અનેક જવાનોનો આબાદ બચાવ થયો હતો. એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ અન્ય ત્રણ સૈનિકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સૈનિકો બરફમાં દટાયેલા હતા. હવે ઘટનાના લગભગ 9 મહિના બાદ આ ત્રણ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ હવાલદાર રોહિત, હવાલદાર ઠાકુર બહાદુર આલે અને નાઈક ગૌતમ રાજવંશી તરીકે થઈ છે. ત્રણેય સૈનિકોના મૃતદેહ બરફના ખાડા વિસ્તારમાં બરફના થર નીચે દટાયેલા હતા. ત્રણ લાપતા સૈનિકોને શોધવા માટે વિશેષ રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પછી આ અભિયાન સફળ ન થઈ શક્યું. હવે લગભગ નવ મહિના બાદ ત્રણેય જવાનોના મૃતદેહ બરફમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.આ આર્મી મિશનનું નેતૃત્વ હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલના કમાન્ડન્ટ બ્રિગેડિયર એસએસ શેખાવતે કર્યું હતું. આ મિશનમાં સામેલ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન તેમના જીવનનું સૌથી પડકારજનક મિશન હતું. ત્રણમાંથી એક જવાનનો મૃતદેહ તેના પરિવારને સોંપાયો છે. સૈનિકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કિન્નૌર જિલ્લાના શહીદ સૈનિક રોહિતના પાર્થિવ દેહને તેમના વતન ગામ તરંડા લાવવામાં આવ્યો હતો.


આ રીતે હાથ ધરાયું અભિયાન
’ઓપરેશન આરટીજી (રોહિત, ઠાકુર, ગૌતમ)’ 18 જૂને મૃતદેહોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનું નામ ગુમ થયેલા સૈનિકોના સન્માનમાં રાખવામાં આવ્યું હતું અને બચાવ કામગીરીમાં 88 નિષ્ણાત પર્વતારોહકો સામેલ હતા. ખુમ્બથાંગથી લગભગ 40 કિલોમીટર પહેલા એક કેમ્પ ઉભો કરવામાં આવ્યો હતો અને બે હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવ્યા હતા.રસ્તાથી લગભગ 13 કિલોમીટર દૂર 14,790 ફૂટની ઊંચાઈએ બેઝ કેમ્પ્ની સ્થાપ્ના કરવામાં આવી હતી.કમાન્ડન્ટ મેજર જનરલ બ્રુસ ફર્નિન્ડિસ વ્યક્તિગત રીતે બેઝ કેમ્પમાં હાજર રહ્યા હતા અને ઓપરેશનનું નિરીક્ષણ કર્યું હતું.ડેપ્યુટી કમાન્ડન્ટ બ્રિગેડિયર એસએસ શેખાવતે વ્યક્તિગત રીતે સર્ચ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application