અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મહાકાય ક્રેન ધરાશાયી, 25 ટ્રેન રદ, 11 રિશિડ્યુલ-ડાયવર્ટ, આ રહ્યું લિસ્ટ

  • March 24, 2025 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના વટવામાં હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે મહાકાય ક્રેન ધરાશાયી થતા બે લોકોને ઈજા પહોંચી છે. તેમજ બાજુમાંથી પસાર થતી રેલવે લાઈનને અસર પહોંચતા 25 ટ્રેન રદ કરવામાં આવી છે અને 11 ટ્રેનને રિશિડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી છે.  આ મામલે તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. નેશનલ હાઇસ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળે પહોંચ્યા હતા.


મહાકાય ક્રેન પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થઈ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર-અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનોના સમય બદલાય છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.


અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને અસર થતા રેલવે વિભાગ દ્વારા અમદાવાદ, સાબરમતી, વિરમગામ મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલ્વે સ્ટેશનના રેલવે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેના પરથી ટ્રેનોની અવરજવર અંગેની માહિતી લોકો મેળવી શકશે.


બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન પડી, બેને ઈજા
મળતી માહિતી મુજબ, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોપડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઊભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ ગઈકાલે રાત્રે પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ હતી. ક્રેન પડવાનો જોરદાર અવાજ આવવાની સાથે જ આસપાસના રહીશો દોડતા થઈ ગયા હતા અને બહાર આવીને જોયું ત્યારે ક્રેન પડી હતી. આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ રેલવેની હાઈ ટેન્શન લાઈનને પણ અસર થઈ હતી, જેથી રેલવે વિભાગ સાથે આ મામલે નેશનલ હાઈસ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા સંપર્ક કરીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.


આ દુર્ઘટનામાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેને કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. હાલમાં નેશનલ હાઈ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ (બુલેટ પ્રોજેક્ટ) દ્વારા ત્રણ જેટલી અન્ય ક્રેનોને મોકલીને રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા પણ ઓવરહેડ લાઈનને રિપેરિંગ કરી ઝડપથી રેલવે વ્યવહાર પૂર્વવત્ કરવાની કામગીરી ચાલી રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application