મહાપાલિકાના 12 વર્ષ જૂના બિલ્ડિંગમાં તિરાડો

  • May 01, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ઢેબર રોડ ઉપર આવેલી મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીના ફક્ત 12 વર્ષ પૂર્વે બનાવેલા બિલ્ડીંગમાં અનેક તિરાડો પડી જતા ગુણવત્તા સામે ફરી સવાલો ઉઠ્યા છે. મુળ નગરપાલિકા વખતના અને 2012ની સ્થિતિએ અંદાજે 50 વર્ષ જુના છતાં પણ મજબૂત એવા બિલ્ડીંગને તોડી પાડી તેના સ્થાને નવા બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવ્યું હતું, આ નવા બિલ્ડીંગને હજુ તો માંડ એક દાયકો વિત્યો છે ત્યાં બિલ્ડીંગમાં વિવિધ સ્થળોએ તિરાડો જોવા મળવા લાગતા નવું બિલ્ડીંગ તકલાદી હોવાની ખુદ મ્યુનિ.કર્મચારી વર્તુળોમાં જ ચચર્િ થઇ રહી છે.


બીઓટીના ધોરણે ખાનગી એજન્સી પાસે બનાવાયેલા આ નવા બિલ્ડીંગમાં ક્યાંય હવા ઉજાસ આવતા નથી જેના લીધે ધોળા દિવસે પણ અધિકારીઓ અને પદાધિકારીઓએ તેમની ચેમ્બરમાં ફરજિયાત લાઇટ ચાલુ રાખવી પડે છે. વીજ પુરવઠો ખોરવાઇ ત્યારે ચેમ્બરની બહાર નીકળવા ફરજ પડે છે કેમકે બિલ્ડીંગમાં ક્યાંયથી હવા પણ આવતી નથી , તમામ ચેમ્બરની બારી ઢેબર રોડ તરફ છે જો તે ખોલવામાં આવે તો તદ્દન બાજુમાં જ આવેલા એસટી બસ પોર્ટમાં આવતી જતી બસો સહિતના વાહનોનો એવો અસહ્ય ઘોંઘાટ આવે છે કે એકાગ્ર થઇ કામ કરવું મુશ્કેલ બની જાય છે. ફક્ત એક જ દાયકો વિત્યો ત્યાં બિલ્ડીંગમાં તિરાડો દેખાવા લાગતા હવે સમગ્ર બિલ્ડીંગનું રિનોવેશન એજન્સીને ખર્ચે કરાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

નિષ્ણાંત ઇજનેરોની ફૌજ હોવા છતાં ખુદ મહાપાલિકા તંત્ર પોતાના જ બિલ્ડીંગનું ગુણવત્તાયુક્ત બાંધકામ કરાવી શકતું ન હોય તો શહેરમાં અન્યત્ર શું હાલત હશે ? તેની કલ્પ્ના જ કરવાની રહે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જ્યાં બેસે છે તે ઓફિસની હાલત આવી છે તો ઝોનલ ઓફિસો, સિવિક સેન્ટર્સ અને વોર્ડ ઓફિસોની શું હાલત હશે ? શું એજન્સીઓ તંત્રને મૂર્ખ બનાવી જતી હશે ? કે પછી તંત્ર જાણી જોઇને મૂર્ખ બનતું હશે ? મહાપાલિકા કચેરીના બિલ્ડીંગની માલિકી રાજકોટના પ્રજાજનોની છે તે ભૂલવું ન જોઇએ. આ બિલ્ડીંગ બનાવનારે ઉચ્ચ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઓફિસો તેમજ શાસક પક્ષનું કાયર્લિય એવું વિશાળ અને સુંદર બનાવી આપ્યું છે કે તેમને કોઇ જ તકલીફ ન પડે પરંતુ અન્ય વિભાગોની ઓફિસોમાં કરામત કરાઇ છે ! જો જવાબદારો ક્યારેય પુરા સંકુલની સાઇટ વિઝીટ કરે તો તેમને પણ અનેક ખામીઓ ઉડીને આંખે વળગશે.

પદાધિકારીઓ બદલાય તો તેમની ચેમ્બર્સ રિનોવેટ થાય, કર્મચારીની હાલત ઠેરની ઠેર
રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થાય અને નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળે તે સાથે તુરંત જ તેમની ચેમ્બરનું રિનોવેશન કરવામાં આવે છે, ખુરશીથી શરૂ કરીને ચેમ્બરનો કલર, લાઇટિંગથી લઇ બારીના પડદાઓ પણ બદલાઇ જાય છે પરંતુ ભંડકીયા જેવા આ નવા બિલ્ડીંગમાં બેસતા અંદાજે 1200 જેટલા કર્મચારીઓની હાલત ઠેરની ઠેર જ રહે છે. ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરો પણ તેમની ચેમ્બરમાં સમયાંતરે જરૂરી ફેરફારો કરાવી લે છે પરંતુ કર્મચારીઓ અને અરજદારોને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ થતી નથી. કર્મચારીઓને આજે પણ એવો વસવસો છે કે જુનું બિલ્ડીંગ વધુ સારૂ અને સુવિધાપ્રદ હતું, નવું બિલ્ડીંગ બનાવીને એજન્સી કમાઇ ગઇ પરંતુ કર્મચારીઓ કે નાગરિકોની સુવિધામાં કંઇ વધારો થયો નથી.

જૂના બિલ્ડિંગમાં વિશાળ પાર્કિંગ હતું પરંતુ નવું બિલ્ડિંગ બન્યુ તેમાં પાર્કિંગ છીનવાયું
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસના જુના બિલ્ડીંગ સંકુલમાં વિશાળ પાર્કિંગ હતું. પરંતુ નવું બિલ્ડીંગ બનાવ્યું તેમાં પાર્કિંગ સુવિધા છીનવાઇ ગઇ છે. જુના સંકુલમાં જ્યાં પાર્કિંગ વ્યવસ્થા હતી તે જગ્યામાં રાજકોટ ગ્રીન સિટી છે તેવું દશર્વિવા બગીચો બનાવી નાખ્યો છે. એકંદરે હાલ જેટલી પાર્કિંગ પ્લેસ ઉપલબ્ધ છે તેમાં તો કર્મચારીઓના વાહનો માંડ સમાવી શકાય તેમ છે, અરજદારોએ તેમના વાહનો માટે પાર્કિંગ પ્લેસ શોધવા ચલક ચલાણું રમવું પડે તેવી અણઘડ વ્યવસ્થા છે. તદઉપરાંત નિયમિત અપડાઉન કરતા અનેક એસટી બસ મુસાફરો મહાપાલિકા કચેરીમાં વિનામૂલ્યે ટુ વહીલર્સ પાર્ક કરી જાય છે. મહાપાલિકાની નજીકમાં જ આવેલા એસટી બસ પોર્ટના બિલ્ડીંગમાં વિશાળ સેલર પાર્કિંગ બનાવાયું છે જેમાં 5000 વાહનોની પાર્કિંગ સુવિધા છે પરંતુ મનપાને પોતાના બિલ્ડીંગમાં આવું પાર્કિંગ બનાવવાનું સૂઝ્યું નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application