સાવરકુંડલા-અમરેલી નેશનલ હાઇવે ઉપર સ્પીડ બ્રેકરનો ખડકલા

  • February 20, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાવરકુંડલાથી અમરેલી તરફ જતો નેશનલ હાઈવે નંબર ૩૫૧ જાહેર કરવામાં આવેલ છે, ખરેખર તો હાઇવે ઉપર સ્પીડ બ્રેકર્સ ન હોય, એટલે જ હાઇવે કહેવાય. છતાં હાઈવે ટચ શાળા કે હોસ્પિટલ હોય તો અગાઉથી સાઈન બોર્ડ લગાવી, યોગ્ય ધારા ધોરણ મુજબની માપ સાઈઝ વાળા સ્પીડ બેકર્સ બનાવવાતા હોય છે, પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે સાવરકુંડલા બાયપાસથી ચરખડિયા સુધી એકાદ કિલોમીટર સુધીના એરિયામાં રાતોરાત ૨૦૦ મીટરના અંતરે વારાફરતી ચાર ચાર સ્પીડ બ્રેકર્સ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવી નાખવામાં આવ્યા છે. જ્યાં આસપાસ કોઈ શાળા કે કોઈ હોસ્પિટલ કે કોઈ રસ્તો પણ ક્રોસ થતો નથી.

ખરેખર તો જ્યાં સાવરકુંડલા અમરેલી બાયપાસ જંકશન છે ત્યાં સ્પીડબ્રેકરની જરૂર છે. ત્યાં એક પણ સ્પીડ બેકર્સ નથી અને જ્યાં જરૂર નથી ત્યાં કોઈ પણ સાઈન બોર્ડ કે સૂચના કે યોગ્ય માપ સાઈઝ વગરના ચાર ચાર સ્પીડ બ્રેકર્સ બનાવી નાખવામાં આવ્યા છે.
આ ઓચિંતા બની ગયેલા સ્પીડ બ્રેકર્સને કારણે કાયમી અપડાઉન કરતા બાઇક સવારો ધડાધડ સ્પીડ બ્રેકર્સ ઠેકાડવાથી કમર ભાંગી જાય છે એમાંય બાળકો કે મહિલાઓ પાછળ બેઠા હોય તો તેમની હાલત કફોડી બની જાય છે અને ક્યારેક જીવલેણ પણ બની શકે. આ સ્પીડ બ્રેકર્સ તાત્કાલિક દૂર કરવાની જરૂર છે.
​​​​​​​
અથવા તો યોગ્ય ધારા ધોરણ મુજબના બનાવી અગાઉ બન્ને તરફ રાત્રે પણ દૂરથી ખબર પડે તેવા સાઈન બોર્ડ મૂકવાની તાતી જરૂરિયાત છે. ઓળીયા ગામથી અમરેલી તરફ જતા આ હાઇવે ઉપર જ કેટલાય વર્ષોથી પડી ગયેલા વિરાટકાય વૃક્ષનું થડ કે જેને કોઈએ સફેદ કપડું વીંટાળી રાખ્યું છે. જે એટલું જોખમી છે કે કોઈ કમનસીબ માટે આ સફેદ કપડું  સીધે સીધું જ કફનમાં જ કામ લાગી જાય..!
આ ઝાડના થડને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને આટલા વર્ષોથી આ વૃક્ષનું થડ કેમ દેખાતું નહીં હોય કે કોઇ અકસ્માત થાય અને કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોવાતી હશે..?!!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application