રાજકોટની ન.પા.અને તા. પંચાયતોના મત ગણતરી કેન્દ્ર અલગ અલગ રખાયા

  • February 15, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે યોજાનારી રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ યોજવાની છે. સવારે સાત થી સાંજના 6:00 વાગ્યા દરમિયાન મતદાન થશે. જો કોઈ કિસ્સામાં ફેર મતદાનની જરૂરિયાત ઊભી થશે તો તારીખ 17 ના સોમવારે રી-પોલિંગ કરવામાં આવશે અને તારીખ 18 ના રોજ મંગળવારે મતગણતરી હાથ ધરીને પરિણામો જાહેર કરવામાં આવશે.

નગરપાલિકાઓ અને તાલુકા -જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકોની ચૂંટણીઓની મત ગણતરી અલગ અલગ સ્થળોએ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટમાં જિલ્લામાં ધોરાજી નગરપાલિકાની મતગણતરી નવી ભગતસિંહ હાઈસ્કૂલમાં, જેતપુર નવાગઢ નગરપાલિકાની મતગણતરી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ (નેશનલ હાઈવે, નવાગઢ- જેતપુર)માં કરવામાં આવશે. ઉપલેટા નગરપાલિકાની મતગણતરી ટાવર વાળી તાલુકા શાળામાં થશે. ભાયાવદર નગરપાલિકાની મતગણતરી મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયમાં કરવામાં આવશે. જસદણમાં મતગણતરી મોડેલ સ્કૂલમાં થશે.

ગોંડલ તાલુકા પંચાયતની મતગણતરી ગોંડલ ખાતે તાલુકા સેવા સદનમાં કરવામાં આવશે. જેતપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી જેતપુર ખાતે આવેલ તાલુકા સેવા સદનમાં કરવામાં આવશે. ઉપલેટા તાલુકા પંચાયતની મતગણતરી મામલતદાર કચેરી ઉપલેટામાં થશે અને જસદણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી મોડેલ સ્કૂલ જસદણ ખાતે કરવામાં આવશે.

ગઈકાલે સાંજે 6:00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર બંધ થયા પછી તમામ મતદાન મથકોનો કબજો ચૂંટણી આયોગ દ્વારા લઈ લેવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 6:00 વાગે તમામ મતદાન મથકોએ ઉમેદવારો, તેમના પ્રતિનિધિઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓની હાજરીમાં મોક પોલ કરવામાં આવશે અને સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે.

મતગણતરી માટે જે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે તે સ્થળો જ રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તરીકે નક્કી કરવામાં આવ્યા છે. ચૂંટણી પૂરી થયા પછી તમામ ઈવીએમ જે તે રીસીવિંગ સેન્ટરમાં મોકલવામાં આવશે અને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં રાખી રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તારીખ 18 ના મંગળવારે પરિણામો જાહેર થઈ જશે પરંતુ ચૂંટણીની આચાર સહિતા તારીખ 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

જસદણમાં 28 બેઠક માટે 64 ઉમેદવારો મેદાનમાં છે અને બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેતપુર (નવાગઢ) નગરપાલિકામાં 44 બેઠકો માટે 140 ફોર્મ ભરાયા છે. ધોરાજીમાં 36 બેઠક માટે 110, ભાયાવદરમાં 24 બેઠકો માટે 68 ઉપલેટામાં 36 બેઠક માટે 87 ફોર્મ ભરાયા છે અને તેમાંથી પાંચ બેઠકો બિનહરીફ થઈ છે. આમ પાંચ નગરપાલિકામાં 168 બેઠકો માટે 469 ઉમેદવારો મેદાનમાં છે અને સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.

નગરપાલિકાઓની સાથોસાથ જે તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી યોજવાની છે તેમાં ગોંડલની એક, ઉપલેટાની બે, જેતપુરની એક, જસદણની બે બેઠકનો સમાવેશ થાય છે અને તેમાં 12 ઉમેદવારો મેદાનમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application