રાજકોટમાં બાળ આરોપીઓ દ્વારા સુધાર ગૃહમાં તોડફોડ, એસઆરપીમેનને માર્યો

  • July 18, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગોંડલ રોડ પર ભક્તિનગર સ્ટેશન મેઇન રોડ પર આવેલા બાળ સુધાર ગૃહમાં છ બાળ આરોપીઓએ ધમાલ મચાવી હતી. અહીં ખુરશી, પંખા, સીસીટીવી, કેમેરા, ટ્યુબલાઈટ સહિતના સાધનોમાં તોડફોડ કરી 30 હજારનું નુકશાન કર્યું હતું. એટલું જ નહીં અહીં ગાર્ડ તરીકે ફરજ બજાવનાર એસઆરપી જવાનને આ બાળ આરોપીઓએ મારમાર્યો હતો. એક બાળ આરોપી ફોનમાં તેના વાલી સાથે વાત કરતો હોય પરંતુ વાત કરવાનો સમય પૂરો થઇ ગયો હોવાછતા તે વાત કરતો હોય જેથી ફોન મુકાવી દીધો હતો. જે બાબતોનો ખાર રાખી તેણે અન્ય બાળ આરોપીઓને બોલાવી આ ધમાલ મચાવી હતી. આ અંગે બાળ સુધર ગૃહના અધિક્ષકની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં સંસ્કાર સીટી એપાર્ટમેન્ટમાં રહેતા સાગર દિલીપભાઈ શુક્લા(ઉ.વ 34) દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળ સુધાર ગૃહમાં રાખવામાં આવેલા છ બાળ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાગરભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અહીં બાળ સુધાર ગૃહમાં કોન્ટ્રાક્ટ બેઝ પર પાંચ વર્ષથી કાઉન્લર તરીકે નોકરી કરે છે અને છેલ્લા છ મહિનાથી ઓફિસર ઇન્ચાર્જ અધિક્ષકનો વધારાનો ચાર્જ પણ તેમની પાસે છે.
ગઈકાલે રજા હોવાથી તે પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના સવા નવેક વાગ્યા આસપાસ અહીં બાળસુધાર ગૃહમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા રમણીકભાઈ લીંડિયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બાળ આરોપીઓ એસઆરપીમેન સાથે ઝઘડો કરી તેને મારમારે છે જેથી તેઓ તુરંત અહીં આવી પહોંચ્યા હતા અહીં આવી જોતા સામાન વેરવિખેર પડ્યો હોય આ બાબતે રમણીકભા ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બુધવારને રજાનો દિવસ હોય આપણે અહીં ગાર્ડ તરીકે ફરજ બજાવતા ટીડાભાઈ ઉર્ફે શૈલેષભાઈ બાળકોને તેના વાલી સાથે ઓફિસના લેન્ડલાઈન ફોનમાં વાતચીત કરાવતા હતા. દરમિયાન રાત્રિના 9:30 વાગ્યા આસપાસ એક બાળ આરોપી તેના વાલી સાથે ફોનમાં વાતચીત કરતો હોય પરંતુ વાતચીત કરવાનો સમય પૂરો થઈ જવા છતાં તે વાત કરતો હોય જેથી ટીડાબાઈએ તેને ફોન મુકવાનું કહ્યું હતું પરંતુ તેણે વાતચીત ચાલુ રાખી હતી જેથી હું તેની પાસે ગયો હતો અને ફોન મુકાવી દીધો હતો. આ સમયે બાળ આરોપી ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો.
બાદમાં આ બાળ આરોપી અન્ય બાળ આરોપીઓની સાથે લઈ રાત્રિના નવ વાગ્યા આસપાસ જીમના સાધનોવડે ક્લાસમાં રહેલ બેંચમાં તોડફોડ કરી હતી બાદમાં પીડબલ્યુડીમાંથી આવેલ સામાન જેમાં છ સીસીટીવી કેમેરા, 10 પંખા, પાંચ ખુરશી, ટ્યુબલાઈટ, કચરા પોતા કરવાના પ્લાસ્ટિકના પાઇપ વડે તોડફોડ કરી 30,000 નું નુકસાન કર્યું હતું.
તોડફોડનો અવાજ આવતા અહીં ગાર્ડ તરીકે ફરજ બજાવનાર એસઆરપી જવાન અરવિંદસિંહ અજીતસિંહ જાડેજા લોબીમાં આવી બાળકોને સમજાવવાનો પ્રયાસ કરતા આ બાળ આરોપીઓએ તેમને માર માર્યો હતો જેથી અમે બંને તેને છોડાવવા જતા બાળ આરોપીઓ હોલમાં ચાલ્યા ગયા હતા. હુમલામાં એસઆરપી જવાનને ખંભાના ભાગે તથા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી આ સમગ્ર મામલે બાળસુધાર ગૃહના અધિક્ષક દ્વારા અહીં તોડફોડ કરવા અંગે અને એસઆરપી જવાનને માર મારવાની લઈ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application