મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રિષ્ન વડ વૃક્ષનું આરોપણ કરી પ્રકૃતિની મહત્તાનો આપ્યો પ્રેરક સંદેશ

  • August 09, 2024 11:36 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક સંપદામાં ઉમેરાયું વધુ એક મોરપંખ: કૃષ્ણ ઉપવન, આયુષવન, વન કવચ, સેલ્ફી પોન્ટ, ગઝેબો, ગૂગલ વન સહિતની સુવિધાઓ બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રાકૃતિક વિરાસતમાં વૃદ્ધિ કરતા ગાંધવી ખાતે હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરતા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કંડારાયેલી સાંકૃતિક વનોના નિર્માણની શ્રૃખંલામાં પ્રસિદ્ધ દર્શનીય સ્થળ હર્ષદ નજીક નિર્મિત હરસિદ્ધિ વન ૨૩મું ઉપવન છે.

મુખ્યમંત્રી આજે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યના વન વિભાગ દ્વારા ૦૫ હેક્ટરમાં નિર્માણ પામેલા હરસિદ્ધિ વનનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી તેની મુલાકાત લીધી હતી અને સેરેમોનીયલ ગાર્ડન ખાતે ક્રિષ્ન વડનું સ્થાપન કર્યું હતું.

ઉપરાંત પ્રભારીમંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ , વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી નાગરિકોને મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા પ્રેરિત કર્યા હતા.

દ્વારકાથી સોમનાથ જતાં પ્રવાસીઓ માટે બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સાબિત થનારા હરસિદ્ધિ વનમાં મુખ્ય આકર્ષણના કેન્દ્રો જોઈએ તો મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ ૫રિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, કૃષ્ણ ઉ૫વન, કૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.

આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, ૫વિત્ર ઉ૫વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે.

ઉપરાંત બાળ વાટિકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષિત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીંગ  એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત ૪૧૬૧૯ રોપાઓનું વાવેતર કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મહાન સપૂત અને તત્કાલીન કેન્દ્રીય મંત્રી સ્વ.કનૈયાલાલ મુનશીજીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાળથી જ પ્રકૃતિ નો મહિમા અનેરો છે. સ્વ. કનૈયાલાલ મુનશીજીના પર્યાવરણ સંવર્ધનના અભિયાનને  દૂરંદેશી  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આગળ ધપાવતા વન મહોત્સવના ઉત્સવને સંસ્કૃતિના મહાત્મય ઉજાગર કરવાના ઉમદા આશયથી સાંસ્કૃતિક વનોના નિર્માણની અનોખી પરંપરાની શરૂઆત કરાવી હતી. પરંપરાના પથને  આગળ ધપાવતા આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવનિર્મિત દ્વિતીય સાંસ્કૃતિક વન "હરસિદ્ધિ વન"ની ભેટ આપી છે.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ખાતે નવનિર્મિત "હરસિદ્ધિ વન" એ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું દ્વિતીય સાંસ્કૃતિક વન છે. આ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાને નાગેશ વનની ભેટ આપી છે. જેને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ સંખ્યામાં વધારો થતાં સ્થાનિક માટે ઉન્નતિનો માર્ગ ખુલશે.

આ તકે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ વન વિભાગના અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application