આજથી ચેમ્પિયન ટ્રોફીની શરૂઆત, 8 ટીમો વચ્ચે થશે ટક્કર: PAK અને NZ વચ્ચે પ્રથમ મેચ, આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં મુકાબલો

  • February 19, 2025 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૯ વર્ષ પછી પાકિસ્તાનમાં આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આખા દેશે આની ઉજવણી કરવી જોઈએ. આ શબ્દો છે પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાનના, જે ગઈકાલે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચની પૂર્વસંધ્યાએ મીડિયા સમક્ષ હાજર થયા હતા. પાકિસ્તાન આ વખતે આઈસીસી  ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે. આજે બપોરે ૨:૩૦ વાગ્યાથી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે, ભારતીય ટીમે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હોવાથી આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલમાં યોજાઈ રહી છે. આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં મુકાબલો થશે 


વર્લ્ડ કપ જેટલી જ કઠિન ગણાતી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો વચ્ચે ટક્કર થશે. આઠ વર્ષ પછી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં ઘણી સમસ્યાઓ આવી હતી. ભાગ્યે જ કોઈ ક્રિકેટ ઇવેન્ટમાં આટલો ભૌગોલિક રાજકીય તણાવ, બે મુખ્ય સહભાગીઓના બે વહીવટી બોર્ડની જીદ અને યજમાન સ્ટેડિયમની તૈયારીઓ અંગે આશંકા જોવા મળી હશે. 


પાકિસ્તાને છેલ્લે 2017 માં ટાઇટલ જીત્યું હતું અને તેમના પર બે તરફી દબાણ રહેશે. ઘરઆંગણાની પરિસ્થિતિમાં મોહમ્મદ રિઝવાન દર્શકોના પ્રેસરને કેવી રીતે સંભાળે છે તે જોવું રસપ્રદ રહેશે. આ વખતે આઠેય ટીમોને ચાર-ચારના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બધી ટીમો લીગ તબક્કામાં ત્રણ મેચ રમશે અને ત્યારબાદ ગ્રુપની ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.


આ વખતે, ટીમ સમીકરણો ઉપરાંત, નજર ખેલાડીઓ પર પણ રહેશે, જેમાં પ્રથમ નામ રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. બંને દિગ્ગજ ખેલાડીઓ તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે અને વિજય સાથે વિદાય લેવા માંગે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી ભારતીય વનડે ટીમમાં રોહિત અને કોહલી માટે કોઈ સ્થાન નથી એવું લાગે છે. જો તે અહીં ખરાબ રમે છે, તો ટેસ્ટ ક્રિકેટમાં તેના ભવિષ્ય પર પણ અસર પડી શકે છે. જયારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં નિષ્ફળતાનો દોષ કોચ ગૌતમ ગંભીર પર પણ આવી શકે છે.


ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણેની શ્રેણીમાં સારા પ્રદર્શન બાદ ગંભીરને કદાચ થોડી રાહત મળી હશે, પરંતુ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની હાર આટલી જલ્દી ભૂલી શકાય નહીં. આવી સ્થિતિમાં, આઈસીસી  ટાઇટલ તેના માટે મોટો ટેકો બની શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 2013 ચેમ્પિયન્સ ટ્રોફી પછી કોઈ ઓડીઆઈ  ટાઇટલ જીત્યું નથી.


પાકિસ્તાનના સ્ટેડિયમોને છાવણીમાં ફેરવાયા 
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી માટે સુરક્ષામાં કોઈ કસર છોડવા માંગતું નથી. ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન દ્વારા ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે ચેમ્પિયન્સ ટ્રોફી મેચો માટે પાકિસ્તાન આર્મી અને રેન્જર્સ તૈનાત કરવામાં આવશે. લાહોર, કરાચી અને રાવલપિંડી છાવણીમાં ફેરવાયા છે. સુરક્ષા વ્યવસ્થા માટે કુલ ૧૨,૬૬૪ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાંથી 7,618 અધિકારીઓ લાહોરમાં તૈનાત કરવામાં આવ્યા, જ્યારે 4,535 અધિકારીઓ રાવલપિંડીમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. આ ઉપરાંત, સ્પેશિયલ બ્રાન્ચના 411 અધિકારીઓ સ્ટેન્ડબાય રહેશે. ત્રિ-સ્તરીય સુરક્ષામાં પોલીસ, સેના અને રેન્જર્સનો સમાવેશ થશે. ટુર્નામેન્ટ મેચો માટે, પાકિસ્તાનના સ્ટેડિયમોને છાવણીમાં પરિવર્તિત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application