જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં બાઈક, એમ્બ્યુલન્સ, ડ્રોન દ્વારા દેખરેખ રખાશે

  • February 24, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિરનારની ગોદમાં તા.૫ થી૮ માર્ચ દરમિયાન ભજન ભોજન ભક્તિના ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રીના મેળા નો પ્રારંભ છે ત્યારે  મેળાના સુચારું આયોજન માટે  ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીશ્રીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે કલેકટર  અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,  મુક્તાનંદ બાપુ હરીગીરીજી બાપુ,  શેરનાથ બાપુ,  મહેશગીરી બાપુ, સહિતના સંતોની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રીના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સાથે સાધુ સંતો, ઉતારા મંડળના પ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા.કલેકટર  અનિલ કુમાર રાણાવસીયા એ જણાવ્યું કે, જૂનાગઢની પવિત્ર ધરતી પર સાધુ સંતોના આશીર્વાદ મેળવવા માટે આસ્થાભેર લાખો શ્રદ્ધાળુ મહાશિવરાત્રીના મેળામાં ભાવપૂર્વક પધારે છે.તેના ભાગરૂપે મેળાના રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.સફાઈ, પાણી, વીજળી શૌચાલય સહિતની વ્યવસ્થાઓ અને સુવિધા માટે જરૂરી આયોજનો કરવામાં આવ્યું છે.ટ્રાફિક વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટે ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ઉપરાંત પાર્કિંગ માટે બે નવા સ્થળો પણ આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. ભવનાથ પહોંચવાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે એસ.ટી બસના રૂટને સર્ક્યુલર વે માં ગોઠવવામાં આવ્યો છે. બસ સ્ટેન્ડ થી ભવનાથ સુધી અંદાજિત ૯૦મીની અને અન્ય જિલ્લ ામાં જવા ૧૯૦ બસો  દોડાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

મેળામાં  આકસ્મિક પરિસ્થિતિ મા લોકોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે બાઈક એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આ માટે ફાયર અને હેલ્થની ટીમ વચ્ચે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે. ઉપરાંત ઉતારા મંડળ નજીક હેલ્થ સુવિધા રાખવાની સાથે આરોગ્ય માટે જરૂરી દવાઓની કીટ આપવાનું પણ આયોજન કરાયું છે.હરિગીરીબાપુ ,ઇન્દ્રભારતી બાપુએ સાધુ સંતો તંત્રની સાથે છે દર વખતની જેમ આ વર્ષે પણ સુંદર મેળો યોજાશે. મહેશગીરી બાપુએ પણ મેળામાં આવતા ભાવિકોને સાધુ સંતોના રવેડીમાં દર્શન થઈ શકે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા.આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર  ગીરીશભાઈ  કોટેચા, શૈલજા દેવી, નગરસેવક  એભાભાઈ કટારા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી,  યોગેન્દ્રસિંહ પઢિયાર,  નિર્ભય પુરોહિત,  અશ્વિનભાઈ મણિયાર તથા ઉતારામંડળના  ભાવેશ વેકરિયા, તથા વિવિધ ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના સંચાલકો-પ્રતિનિધિઓ, મ્યુ.કમિશનર  ઓમ પ્રકાશ, અધિક નિવાસી કલેકટર એન.એફ. ચૌધરી, નાયબ વન સંરક્ષક  અક્ષય જોશી, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, ડીવાયએસપી  હિતેશ ધાંધલ્યા, પુરવઠા અધિકારી, વન, આરોગ્ય, આરટીઓ સહિતના વિભાગના અધિકારીઓ, સંતો-મહંતો અને આગેવાનો  બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવા માગ મુક્તાનંદ બાપુએ ભાવિકોને પીવાના પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે વરસાદી પાણીના સંગ્રહના ટાંકા બનાવવા માટે પહેલ કરી હતી. તેમણે સુમેળ સાથે પરિવર્તનનો સ્વીકાર કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application