ચૂંટણી ટાણે મોટો ફેરફાર: પાંચને ટીડીઓન અપાયેલા પ્રમોશન માત્ર ૧૫ દિવસમાં જ રદ
ચૂંટણી ટાણે મોટો ફેરફાર: પાંચને ટીડીઓન અપાયેલા પ્રમોશન માત્ર ૧૫ દિવસમાં જ રદ
April 16, 2026 10:31 PM
રાજકોટ પંચાયતોની ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે તેવા સમયે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ ૩૦ માર્ચના રોજ ટ્રાન્સફર અને પ્રમોશનના કરવામાં આવેલા આઠ હુકમો તેની મૂળ અસરથી જ રદ કરવામાં આવ્યા હોવાની સરકારે જાહેરાત કરી છે. અધિકારીઓની બદલી બઢતી કે તે પ્રકારના કોઈ મહત્વના નિર્ણયો ચૂંટણી આચારસંહિતા દરમિયાન લઈ શકાતા ન હોવાથી પંચાયત વિભાગે આ નિર્ણયની જાહેરાત કરતા પહેલા રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં દરખાસ્ત કરી હતી અને ચૂંટણી આયોગે તારીખ ૧૦ એપ્રિલના રોજ આ ફેરફારને મંજૂરી આપતા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તારીખ ૩૦ માર્ચના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના ભૂપેન્દ્રભાઈ બગથરીયા સહિત ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ ત્રણેય હુકમો રદ કરવામાં આવ્યા છે આવી જ રીતે વર્ગ-૩ ના કર્મચારી તરીકે ફરજ બજાવતા પાંચને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ માં તારીખ ૩૦ માર્ચના રોજ પ્રમોશન આપવામાં આવ્યા હતા. આ પાંચે પાંચ હુકમો પણ રદ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્રભાઈ બગથરીયાની બદલી જુનાગઢ ખાતે ગ્રામ વિકાસ એજન્સીમાં કરવામાં આવી હતી.પરંતુ મૂળ અસરથી આ હુકમ રદ કરાયા પછી હવે ભુપેન્દ્રભાઈ બગથરીયાને જૂનાગઢ જિલ્લામાં વંથલી ખાતે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી સોપવામાં આવી છે. આવી જ રીતે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પંચાયતમાં વિસ્તરણ અધિકારી (પંચાયત) તરીકે ફરજ બજાવતા સાહિર મહંમદ અભુભા મલેકની બદલી અગાઉ રાજકોટ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી) તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ઝાલાની બદલી અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમોશન સાથે કરવામાં આવી હતી. આ બંને હુકમો પણ રદ કરવામાં આવ્યા છે અને હવે સાહિર મહંમદ મલેકની અમરેલી જિલ્લાના ખાંભા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે. જ્યારે સુરેશભાઈ ઝાલા ને અમરેલી જિલ્લાના લાઠી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે.