તળાજા ડુંગળી મામલે ડાકલા સાથે ભુવા ધુણ્યા

  • February 07, 2024 07:10 PM 

ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતા ફરીવાર ડુંગળીની આવક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો બીજી તરફ ખેડૂત આગેવાનોએ ડુંગળીના ભાવ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.



ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના વાહનોની લાંબી લાંબી કતારો લાગે છે. વિશાળ સંખ્યામાં ડુંગળીનો માલ લઈને ખેડૂતો આવતા હોય છે. છેલ્લા થોડા દિવસથી તળાજા માર્કેટિંગ યાર્ડનું મેદાન ટૂંકું પડવાના કારણે માર્કેટિંગ યાર્ડની બાજુમાં ડુંગળી ઉતારવા વ્યવસ્થા કરવામાં આવી હતી. અને હાલ ત્યાં ડુંગળીનો માલ ઉતારવામાં આવે છે. તેમ છતાં બન્ને ગ્રાઉન્ડ ભરાઈ જતા મહુવા રોડ પર આવેલ આહીર સમાજની વાડી ખાતે ડુંગળી ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તળાજા માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂતોને જાણ કરવામાં આવી હતી. કે હવે ડુંગળીની આવક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યાર્ડના ગ્રાઉન્ડમાં તથા વ્યવસ્થા કરવામાં આવેલ જગ્યામાં ડુંગળી ઉતારવાની બિલકુલ જગ્યા ન હોવાથી ડુંગળી પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવેલ છે. છતાં પણ જો કોઈ ખેડૂત ડુંગળી લઈને આવશે તેમને પરત લઈ જવાની ફરજ પડશે. તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા જાણ કરવામાં આવી છે. અને હવે પછી માર્કેટિંગ યાર્ડ દ્વારા બીજી વખત જાણ કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળીનો માલ કોઈ પણ ખેડૂતોએ નહીં લાવવા અને સહકાર આપવા અપીલ કરી છે. હાલ તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ રૂપિયા ૧૦૪ થી લઈને ૨૩૪ સુધી બોલાયો છે. બીજી તરફ ડુંગળીનો ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતો હોવાનો પણ સમગ્ર પંથકમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.


ડુંગળીની સીઝનની શરૂઆતમાં ભાવ સારા રહ્યા હતા. પરંતુ સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા ડુંગળીના ભાવ તળિયે ગયા છે. જેને લઇને ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. આ બાબતે તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા, રાજભા ગોહિલ સહિતના ખેડૂત આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરી અને અનોખો કાર્યક્રમ આપ્યો હતો. ખેડૂત આગેવાનોએ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ડાકલા સહિતના આચાર્ય જનક કાર્યક્રમો યોજી અને પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું હતું અને આગામી ૧૦ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચરી હતી. હવે સરકાર ખેડૂતો તરફેણ કંઈ ચુકાદો લાવે છે. કે કેમ તે જોવું રહ્યું....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application