કચ્છના કોંગ્રેસ અગ્રણી ઈભલા શેઠને માર મારવાના કેસમાં ભુજ કોર્ટે તત્કાલિન SP કુલદીપ શર્માને 3 માસની સજા ફટકારી, જાણો શું હતો સમગ્ર મામલો

  • February 10, 2025 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહુમ મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહિમને આજથી 40 વર્ષ પૂર્વે જિલ્લા પોલીસવડાની કચેરીમા મુલાકાત વેળાએ તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માએ અપમાનિત કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસનો આજે ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે. જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે. બંને ગુનેગારોએ કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે. સહ આરોપી પીએસઆઇ બિશ્નોઈ અને બી એન ચૌહાણ મૃત્યુ પામ્યા છે, જ્યારે ત્રીજા પોલીસકર્મી ગિરીશ વસાવડા દોષમુક્ત જાહેર થયા છે


એસપી કચેરી મળવા ગયા ને માર મરાયાનો આક્ષેપ હતો
પ્રાપ્ત વિગત મુજબ, અબડાસાના મંધરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહિમ ઉર્ફે ઇભલા શેઠ નલિયામાં નોંધાયેલા કેસ મામલે તત્કાલિન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા, શંકર ગોંવિંદજી જોષી સહિતના આગેવાનો સાથે એસપી કચેરીએ મળવા માટે આવ્યા હતા. એ દરમિયાન જે તે વખતના એસપી કુલદીપ શર્માએ તેમનું અપમાન કરી અપ-શબ્દ બોલી અને સાથી અધિકારીઓને બોલાવી માર મરાયાનો આક્ષેપ કરાયો હતો અને આ બાબતે જે તે વખતે ઈભલા શેઠને ઇજા પહોંચી હોય તેમની સાથે ડેલીગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોષીએ કચ્છના એડવોકેટ એમ.બી.સરદારને રોકી ભુજની ચીફ જયુડિશિયલ કોર્ટમાં એસપી સહિત ચાર આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી.


28 જાન્યુઆરીએ આખરી સુનાવણી પૂરી થઈ હતી
જે બાદ વર્ષ 2020માં ફરિયાદીના વકીલ એમ.બી.સરદારનું અવસાન થતાં આ કેસમાં ફરિયાદીના મુખ્ય એડવોકેટ તરીકે આર.એસ.ગઢવી રહ્યા હતા.અગાઉ આ કેસમાં ચાર આરોપી હતા, જેમાંથી બી.એન.ચૌહાણ તથા પી.એસ.બીશનોઇ ચાલુ પ્રોસિડિંગ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય બે આરોપી કુલદીપ શર્મા તથા ગીરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફેમ કર્યા હતા. આરોપીના સ્ટેટમેન્ટ બાદ ગત 28 જાન્યુઆરીના રોજ આખરી સુનાવણી પુરી થઈ છે. અને કેસ 40 વર્ષ બાદ આજે જજમેન્ટ પર આવ્યો છે. આ કેસમાં ઇભલા શેઠના પક્ષ તથા મૂળ ફરિયાદી વતી આર.એસ.ગઢવીએ દલીલો કરી હતી.


સરકારી વકીલ આરોપીનો બચાવ ન કરી શકે
આરોપી કુલદીપ શર્મા તથા અન્ય આરોપીઓ માટે જે વખતે સરકારી વકીલ બચાવ કરતા એડવોકેટ એમ.બી.સરદારે એવી દલીલ કરી હતી કે સરકારી વકીલનો કામ ફરિયાદ પક્ષનો કેશ પુરવાર કરવાનો છે નહીં કે આરોપીનો બચાવ કરવાનો. પછી આરોપી ભલેને જિલ્લાના પોલીસ વડા હોય જ્યારે તે આરોપી તરીકે આવે છે, ત્યારે તે એક આરોપી જ છે અને દરેક આરોપીની જેમ તેણે પોતાનો બચાવ જાતે અથવા પોતાના એડવોકેટ મારફતે કરવો જોઈએ. જેમાં કોર્ટ સહમત થયેલી અને કુલદીપ શર્મા સહિત અન્ય આરોપીઓ એ પ્રાઈવેટ વકીલ રાખી પોતાનો બચાવ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application