ભાદરવો ભરપૂર : જિલ્લામાં ઝાપટાથી બે ઈંચ વરસાદ

  • September 26, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વરસાદની આગાહી વચ્ચે બુધવારે વારે રાત્રીથી ગુરૂવારે વહેલી સવાર સુધીમાં ભાદરવો ભરપૂર બન્યો હોય તેમ ભાવનગર જિલ્લામાં ઝાપટાથી બે ઈંચ વરસાદ પડયો હતો.જેમાં સિહોરમાં બે,ઘોઘામાં પોણા બે,મહુવામાં દોઢ,ભાવનગર શહેરમાં સવા, તળાજામાં એક,પાલિતાણામાં અર્ધો,વલભીપુર અને ઉમરાળામાં પા ઈંચ વરસાદ પડયો,જ્યારે જેસર અને ગારિયાધારમાં ઝાપટા પડ્યા હતા.મોલાત મુરઝાવાના આરે હતી ત્યારે જ વરસાદ પડતાં મોલાતને જીવતદાન મળ્યું હતું.ભાવનગર જિલ્લામાં આજે ગુરૂવારે અને કાલે શુક્રવારે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગે ભાવનગર જિલ્લામાં બુધવારે  વરસાદ પડવાની આગાહી કરી હતી. સવારથી રાત્રીના ૮ વાગ્યા સુધી ભારે ઉકળાટ રહયો હતો.૮ વાગ્યાથી ગુરૂવારે સવારે ૬ વાગ્યા સુધીમાં ઝાપટાથી બે ઈંચ જેટલો વરસાદ જિલ્લામાં પડ્યો હતો.
જેમાં સૌથી વધુ વરસાદ સિહોરમાં બે ઈંચ ઉપરાંત પડ્યો હતો.રાત્રે ઘરે જઈ રહેલા લોકો અને વેપારીઓ વરસાદના કારણે અટવાયા હતા. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં.  ઘોઘામાં ઘણા દિવસોથી વરસાદની રાહ ખેડૂતો અને લોકો જોતા હતા.ત્યાં રાત્રે મેઘસવારી આવી પહોંચી હતી અને પોણા બે ઈંચ  વરસાદ પડયો હતો.આથી અનેક સ્થળોએ પાણી ભરાયા હતા.મહુવામાં પણ મેઘરાજાએ મહેર કરી ધોધમાર દોઢ ઈંચ પાણી પીરસી દીધુ હતુ.
ભાવનગર શહેરમાં સવારથી ખૂબ જ ઉકળાટ રહયો હતો.સાંજે આઠ વાગ્યા બાદ ઝાપટુ પડયુ હતુ. બાદમાં મોડી રાતથી ગુરૂવારે વહેલી સવાર સુધીમાં મેઘ ગર્જના અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને સવા ઇંચ પાણી પડયું હતું.
જ્યારે તળાજામાં પણ મેઘરાજાએ લાંબા વિરામ બાદ એક ઈંચ પાણી વરસાવી દીધું હતું.આથી ખેડૂતો ખુશખુશાલ થયા હતા.પાલીતાણામાં પણ અર્ધો ઈંચ વરસીને મેઘરાજાએ વ્હાલ વરસાવ્યું હતું. ગારીયાધાર,જેસરમાં ઝાપટા પડ્યા હતા.અને વલભીપુર અને ઉમરાળામાં પા - પા ઈંચ વરસાદ પડયો હતો. આમ,બુધવારે રાતથી ગુરૂવારે વહેલી સવાર સુધીમાં ગોહિલવાડમાં ઝાપટાથી બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો.
 બુધવારે રાત્રિના ૮ વાગ્યા બાદથી ગુરૂવારે સવારે ૬ વાગ્યા સુધીમાં સિહોરમાં ૫૨,તળાજામાં ૨૫, ભાવનગર શહેરમાં ૩૧,પાલિતાણામાં ૧૧,ઘોઘામાં ૪૨,વલભીપુરમાં ૭,ગારિયાધારમાં ૪, મહુવામાં ૩૬, ઉમરાળામાં ૭,જેસરમાં ૩ મિ.મી. વરસાદ પડ્યાનું સરકારી ચોપડે નોંધાયું હતુ. આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   સિહોરમાં ૯,વલભીપુરમાં ૮,ઉમરાળામાં ૪,મહુવા,જેસર,તળાજા અને ઘોઘામાં ત્રણ - ત્રણ , જ્યારે પાલિતાણામાં ૧ મિમી.વરસાદ પડ્યો હતો.ભાવનગર શહેરમાં બપોરે ૧૨ વાગ્યાના સુમારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.જ્યારે પરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application