શું તમે કબજિયાત અને અપચાની સમસ્યાથી પરેશાન છો? તો પાચન સુધારવા માટે અનુસરો આ ટિપ્સ

  • August 07, 2024 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાચન તંત્ર શરીરને જરૂરી પોષક ત્તત્વોને અબ્સોર્બ અને શરીરમાંથી કચરાના પદાર્થને દૂર કરવામાં મદદ કરે છે. પાચન સંબંધી સમસ્યાઓ ક્યારેક થવી સ્વાભાવિક છે પરંતુ, વારંવાર થતી રહે તો તે શરીરમાં અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જમ્યા પછી ક્યારેક અપચો અને ગેસ થવો સ્વાભાવિક છે, પરંતુ કેટલાક લોકોને વારંવાર જમ્યા બાદ આ સમસ્યા ઉદભવતી હોય છે. તેની પાછળનું કારણ એ છે કે પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી એટલે કે પાચનતંત્ર નબળું છે. ગેસ, અપચો અને કબજિયાતને દૂર કરવા માટે વારંવાર દવાઓથી રાહત મેળવી શકો છો, પરંતુ વધુ પડતી દવા ખાવાથી શરીરને નુકસાન પણ થાય છે.


જ્યારે પાચન સંબંધી સમસ્યાઓ વારંવાર થવા લાગે છે, ત્યારે શરીર બધા પોષક તત્વો યોગ્ય રીતે મેળવી શકતું નથી. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. તેથી પાચન સંબંધી સમસ્યાઓ પર સમયસર ધ્યાન આપવું જરૂરી છે.


આહાર પર ધ્યાન આપવું

જો અપચો અને ગેસ ચાલુ રહે છે,  તો પાચન સુધારવા માટે પહેલા આહારમાં સુધાર કરવો જરૂરી છે. લોટ, ખાંડ અને તેલ વધારે હોય તેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત વ્યક્તિએ ખૂબ જ પ્રોસેસ્ડ તૈયાર કરેલા ઇન્સ્ટન્ટ ફૂડ્સથી પણ દૂર રહેવું જોઈએ. આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો, જેમાં સારી માત્રામાં ફાઈબર હોય અને તે ઝડપથી પચી જાય, આ રીતે પાચન તંત્ર પર વધુ દબાણ નહીં આવે અને પાચન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થશે.


ખાધા પછી ચાલવું જરૂરી છે.

ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં અસમર્થતા પાછળનું કારણ જમ્યા પછી તરત જ બેસીને અથવા સૂવું હોઈ શકે છે. તેથી લંચ અથવા ડિનર લીધા પછી ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી ચલાવું. જો તમે ચાલી શકતા નથી તો વજ્રાસનમાં થોડો સમય બેસી રહેવાથી તમારી પાચનક્રિયા સુધરે છે. આ એકમાત્ર યોગા આસન છે જે ખાધા પછી પણ કરી શકો છો.


યોગ આસનો પાચનમાં કરશે સુધારો

જે લોકોને હમેશા પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય તેઓએ તેમની દિનચર્યામાં નૌકાસન, ઉસ્ત્રાસન, ત્રિકોણાસન, વજ્રાસન, માલાસન વગેરે કરવા જોઈએ. તેનાથી પાચનક્રિયા તો સુધરશે જ  પરંતુ તમે ફિટ પણ રહી શકશો અને બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર રહેશે.


પાણી પીવાનું ધ્યાન રાખો

શરીરમાં પાણીની અછતને કારણે પણ કબજિયાત થઈ શકે છે. તેથી જે લોકો કબજિયાતથી પીડાય છે તેમણે પુષ્કળ પાણી પીવું જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવો. તેનાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક બરાબર પચતો નથી.


ખાવાનો સમય નક્કી કરો

યોગ્ય પાચન જાળવવા ઉપરાંત સંપૂર્ણ સ્વસ્થ રહેવા માટે એ મહત્વનું છે કે ખાવાની દિનચર્યા નક્કી કરો અને દરરોજ તે જ સમય દરમિયાન ખાવાનું રાખો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application