વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહિલા અનામત મુદ્દે દેશની જનતાને સંબોધિત કર્યા હતા. આ સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને અત્યંત ભાવુક સ્વરે દેશની માતાઓ અને બહેનોની માફી માંગી હતી. 'નારી શક્તિ વંદન અધિનિયમ' સંસદમાં પસાર ન થઈ શકવા બદલ તેમણે ખેદ વ્યક્ત કર્યો અને આ માટે વિપક્ષી દળોના વલણને જવાબદાર ઠેરવ્યું હતું.
PM મોદીએ કોંગ્રેસ, DMK, TMC અને સપા (SP) જેવા પક્ષો પર નિશાન સાધતા કહ્યું કે, આ પક્ષોની સ્વાર્થી રાજનીતિએ દેશની મહિલાઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ઉમેર્યું કે, "બિલ પાસ કરવા માટે જરૂરી 66% મતો ભલે અમારી પાસે ન હોય, પરંતુ દેશની 100% નારી શક્તિના આશીર્વાદ અમારી સાથે છે. વિપક્ષે મહિલા અનામતનો વિરોધ કરીને પાપ કર્યું છે."
PM મોદીના સંબોધનની 10 મુખ્ય વાતો:
ક્ષમાયાચના: PMએ મહિલાઓના સપના પૂરા ન થઈ શકવા બદલ દેશની તમામ મહિલાઓની માફી માંગી.
સપનાઓને કચડ્યા: વિપક્ષે મહિલાઓની પ્રગતિને રોકવાનું અને તેમના સપનાઓને કચડવાનું કામ કર્યું છે.
સ્વાર્થી રાજનીતિ: કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો મહિલા સશક્તિકરણના વિરોધમાં પોતાની રાજનીતિનો જશ્ન મનાવી રહ્યા છે.
સંવિધાનનું અપમાન: બિલને હરાવીને વિપક્ષે ભારતીય સંવિધાન અને નારી શક્તિનું અપમાન કર્યું છે.
પરિવારવાદ પર પ્રહાર: પરિવારવાદી પાર્ટીઓ નથી ઈચ્છતી કે સામાન્ય મહિલાઓ આગળ વધે, કારણ કે તેનાથી તેમની સત્તા જોખમાઈ શકે છે.
ઉત્તર-દક્ષિણ વિભાજન: કોંગ્રેસ દેશમાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે ભાગલા પાડવાનું જૂઠ ફેલાવી રહી હોવાનો આરોપ મૂક્યો.
પરજીવી કોંગ્રેસ: PMએ કહ્યું કે કોંગ્રેસ હવે 'પરજીવી' બની ગઈ છે જે પ્રાદેશિક પક્ષોના આધારે જીવી રહી છે, છતાં તે પ્રાદેશિક પક્ષોને મજબૂત થવા દેવા માંગતી નથી.
ભ્રૂણ હત્યા સમાન કૃત્ય: દેશના દરેક રાજ્યને સમાન હક આપવાના આ પ્રમાણિક પ્રયાસની વિપક્ષે ગૃહમાં જ 'ભ્રૂણ હત્યા' કરી નાખી છે.
અજેય આત્મબળ: ભલે અત્યારે સફળતા ન મળી, પણ અમારો પ્રયાસ અટકશે નહીં. અમારું આત્મબળ અજેય છે.
ભવિષ્યનો વિશ્વાસ: PMએ વિશ્વાસ અપાવ્યો કે મહિલા અનામતના માર્ગમાં આવતી દરેક અડચણને ભવિષ્યમાં દૂર કરવામાં આવશે.
વડાપ્રધાને અંતમાં કહ્યું કે, એક મહિલા બધું જ ભૂલી શકે છે પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી, અને વિપક્ષને આનું પરિણામ ભોગવવું પડશે.