જામનગર કોર્પોરેશનને વિકાસના કામ માટે રુા.૧૦૯ કરોડની ફાળવણી

  • January 04, 2024 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકારે એક જ દિવસમાં મહાપાલિકા અને નગરપાલિકાને ૨૦૮૪ કરોડના ચેક આપ્યા: રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો માટે સૌ સાથે મળીને આગળ વધીએ: વડાપ્રધાન નરેન્દ્રનભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું એવું સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન છે કે વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી: મુખ્યમંત્રી

જામનગરના વિકાસ માટે મહાપાલિકાના પદાધિકારીઓએ રુા.૧ હજાર કરોડથી વધુ રકમની માંગણી કરી હતી જેના અનુસંધાને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૨૦૮૪ કરોડના ચેકનું વિતરણ કર્યુ હતું જેમાં જામનગર મહાપાલિકાને રુા.૧૦૯ કરોડનો ચેક રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપ્યો હતો. આ સમયે મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ચેરમેન નિલેશ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, શાસક પક્ષના નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા ઉપસ્થિત રહ્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં નગરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતાં.
આ ગૌરવશાળી સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. ૭૩૫ કરોડ, સુરતને રૂ. ૫૬૯ કરોડ, વડોદરાને રૂ. ૧૭૨ કરોડ, રાજકોટને રૂ.૧૩૫ કરોડ તથા જામનગરને રૂ.૧૦૯ કરોડ તેમજ ગાંધીનગરને રૂ. ૩૭ કરોડ, ભાવનગરને રૂ. ૯૪ કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૩૧ કરોડ મળી ૮ મહાનગરોને કુલ રૂ. ૧૮૮૨ કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અ વર્ગની નગરપાલિકાઓને ૪૪ કરોડ, બ વર્ગને ૩૬ કરોડ તથા ક વર્ગને પણ ૩૬ કરોડ તેમજ ડ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૧૭ કરોડ મળી સમગ્રતયા ૨૦૮૪ કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, શહેરો, ગ્રામીણ વિસ્તારો, નાના નગરો બધાનો આયોજન પૂર્વક અને ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસ્યું છે. આપણા શહેરી ક્ષેત્ર સહિતનો વિકાસ વિશ્વના વિકસિત દેશો કરતાં ક્યાંય પાછળ નથી અને વિશ્વના રાષ્ટ્રોમાં જે શ્રેષ્ઠ સુવિધા હોય તે ગુજરાત-ભારતમાં પણ મળે છે તેવી પ્રતિતી વડાપ્રધાનના નેતૃત્વમાં ૠ-૨૦ની સફળતાપૂર્વકની પ્રેસીડેન્સીથી ભારતે ૠ-૨૦ દેશોને કરાવી છે.
પાછલા દશકનો ગ્રોથરેટ એવરેજ ૧૦ ટકાથી વધુ છે એટલું જ નહીં, આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેરો ગામોએ મેઇક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણા નગરો-મહાનગરોમાં સુખ સુવિધા, વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ વડાપ્રધાનએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર-મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે.
તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનએ આપેલા સ્વચ્છ ભારતના ધ્યેયને વધુ વ્યાપક બનાવવા આપણે નિર્મળ ગુજરાત ૨.૦ લોન્ચ કર્યું છે અને જન જનમાં સ્વચ્છતા સ્વભાવ બને તેનું અભિયાન ઉપાડ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન-બદલાવનું મોટું કામ વડાપ્રધાનના દિશાદર્શનમાં નગરો-મહાનગરો-ગામોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નાગરિક સુખ સુવિધાના કામોથી થયું છે. હવે વિકસિત ભારત૨૦૪૭ના નિર્માણનાં વડાપ્રધાનના સંકલ્પમાં સ્વચ્છ, સુવિધાયુક્ત નગરો મહાનગરોના વિકાસથી ગુજરાતે વડાપ્રધાનના આ સંકલ્પને પણ હંમેશની જેમ લીડ લઈને પાર પાડવાનો છે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રીએ કર્યું હતું. શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મોકલવામાં આવેલી તમામ દરખાસ્તો અંગે શહેરી વિકાસ મંત્રી તરીકે હંમેશા હકારાત્મક અભિગમ દાખવીને ત્વરિત નિર્ણયો લીધા છે. તેમના નેતૃત્વમાં એક જ વર્ષમાં બીજી વખત ચેક વિતરણ અંગેનો આવો મોટો કાર્યક્રમ યોજાયો છે.
તેમણે શહેરી વિકાસ વિભાગના બજેટમાં થયેલા વધારા અંગે કહ્યું હતું કે, ૨૦૦૩માં રાજ્યના શહેરી વિકાસ વિભાગનું બજેટ માત્ર ૧૭૫ કરોડ રૂપિયા હતુ, તે ચાલુ વર્ષે ૧૯,૬૭૦ કરોડ રૂપિયાથી પણ વધ્યું છે. એટલે કે સો ટકા કરતાં પણ વધુ રકમની વૃદ્ધિ થઈ છે. આ રકમનો આપણે નાગરિકોની સુખાકારી માટે માટે ખર્ચ કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, આગામી વર્ષોમાં રાજ્યમાં રોડ-રસ્તા, બ્રિજ, જળ વ્યવસ્થાપન, એસટીપી, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી બધી જરૂરીયાતો લગભગ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ હશે. તેનાથી આગળ વધીને લોકોની અપેક્ષાઓને અનુરૂપ સિટિઝન સેન્ટ્રીક સેવાઓ પર ફોકસ કરી રહ્યાં છીએ.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્યો, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન  રાજકુમાર બેનીવાલ, શહેરી વિકાસ વિભાગના સચિવ આર.જી.ગોહિલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના સીઈઓ વહોનિયા, વિવિધ મહાનગરપાલિકાઓનાં મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનઓ, નગરપાલિકાઓનાં પ્રમુખ-ઉપપ્રમુખો, હોદ્દેદારો અને મ્યુનિસિપલ કમિશનરઓ તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application