રાજકારણમાં કાકા-ભત્રીજા, ભાઈ-બહેન, પિતા-પુત્ર કે પછી કોઈ પણ હોય, જયારે તક આવે છે ત્યારે કોઈ કોઈનું સગુ થતું નથી તે વધુ એક વખત સાબિત થઇ ગયું છે. છેલ્લા ચાર વર્ષમાં દેશના રાજકારણનો હોટ પોઈન્ટ બનેલું મહારાષ્ટ્ર અંગત ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓની પ્રયોગશાળા બની રહ્યું છે. અત્યારે પવાર અને પાવર વચ્ચેનો ખેલ જોવા મળી રહ્યો છે. રાજકીય મહત્વાકાંક્ષાઓ હંમેશા ટોચ ઉપર જ હોય છે અને રાજકારણીઓની ઈચ્છાઓનું આકાશ અનંત છે. નેતાઓ મહત્વની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણા હવાતિયા મારતા હોય છે. ક્યારેક તેઓ જાતે જ શિકાર બની જતા હોય છે તો ક્યારેક તેઓ શિકારીઓની ભૂમિકામા આવી જતા હોય છે. ચાર વર્ષમાં ત્રણ વખત ડેપ્યુટી સીએમ બનેલા અજિત પવારને ઉદ્ધવ ઠાકરેની સરખામણીમાં તેજતર્રાર નેતા માનવામાં આવે છે, જેમની રાજકીય મહત્વાકાંક્ષાઓના વાસ્તવિક શિકારી એક સમયે રાજ ઠાકરે હતા પરંતુ અત્યારે રાજ ઠાકરે ભુલાઈ ગયા છે અને ઉધ્ધવ ઠાકરે પણ સાઈડમા ચાલ્યા ગયા છે.
શિવસેનાના સુપ્રિમો બાળ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા ૪૦ વર્ષની શિવસેનાને કેટલી ભારે પડી હતી તે બધા જાણે છે અને એકનાથ શિંદે જેવા શિવ સૈનિકની મહત્વાકાંક્ષા ખુદ ઉધ્ધવ ઠાકરે માટે કેવડો આંચકો આપનારી બની તે કહેવાની જરૂર નથી.
આ કથામાં પવાર પરિવારનો એક કિસ્સો પણ ઉમેરાયો છે. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની ખુરશીનું સ્વપન જોનારા અજિત પવાર એક સમયે તેમના કાકાની મહત્વાકાંક્ષાનો શિકાર બન્યા હતા, પરંતુ આજે તેઓ એક શિકારી સાબિત થયા છે
શરદ પવારે ૨ મેના રોજ એનસીપીના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું ત્યારથી માંડીને શરદ પવારે ૧૦ જૂન એટલે કે એનસીપીના સ્થાપના દિવસે પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સહિત વિવિધ રાજ્યોની જવાબદારી સોંપી ત્યાં સુધીનો ઘટનાક્રમ સૂચવે છે કે, આ વેલ સ્ક્રીપ્ટેડ મૂવ છે. અજિત પવારની નારાજગીના સમાચારો પણ સતત આવતા રહ્યા. અજિત પવાર નારાજ છે તેથી એનસીપીમાં ભંગાણ પાડ્યું હોવાનો દેખાવ ઊભો કરવાનો આખો ખેલ શરદ પવારનો હોવાની પૂરી શક્યતા છે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.
એકનાથ શિંદે અજિત પવારને નાયબ મુખ્યમંત્રીપદે બેસાડ્યા પછી શું વિચારતા હશે એ ખબર નથી પણ અજિત પવારની એન્ટ્રી કરાવીને ભાજપે એકનાથ શિંદેને રવાના કરીને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રીપદે બેસાડવાનો તખ્તો તૈયાર કરી દીધો હોય એવી પૂરી શક્યતા છે. જો કે એવી ચર્ચા પણ છે કે, ફડણવીસને કેન્દ્રમાં લઇ જવાનો તખ્તો પણ તૈયાર થઇ રહ્યો છે. અત્યારે આ વાત બાજુએ મુકીને જોઈએ તો મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ બેઠકો છે તેથી સ્પષ્ટ બહુમતી માટે ૧૪૫ ધારાસભ્યોનો ટેકો જોઈએ.ભાજપ પાસે ૧૦૫ ધારાસભ્યો છે અને અજિત પવારે જોરદાર ખેલ પાડીને એનસીપીમાં ભંગાણ પાડી દીધું પછી તેમની સાથે ૪૦ ધારાસભ્યો આવ્યા છે. શરદ પવારની એનસીપી પાસે હવે ૧૩ જ ધારાસભ્યો બચ્યા છે ને સત્તા તરફ ખેંચાતાં ધારાસભ્યોને વાર નથી લાગતી તેથી બીજા પાંચ-સાત ધારાસભ્યો હજુ અજિતની પંગતમાં બેસી જશે.
જો કે આ ધારાસભ્યો ના આવે તો પણ અજિત પવારના ૪૦ અને ભાજપના પોતાના ૧૦૫ મળીને બહુમતી માટે જરૂરી ધારાસભ્યો તો ભાજપ પાસે થઈ જ ગયા છે. આ સંજોગોમાં ભાજપને એકનાથ શિંદેની શું જરૂર? તેવું વિચારી પણ શકે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજા રાજકીય બળવામાં ’ટ્રિપલ એન્જિન’ સરકાર રચાઈ છે. સવાલ એ છે કે આ ત્રણેય એન્જિન એક જ દિશામાં ક્યાં સુધી ચાલશે? તે તેના પોતાના વજન હેઠળ પડી શકે છે અથવા કર્ણાટકની જેમ ચૂંટણીમાં આવા પ્રયોગોને જનતા નકારી શકે છે. શિવસેના સામે એકનાથ શિંદેના બળવાને જનતા ભલે એક વખતની છૂટ આપે, પરંતુ ત્રણ વર્ષમાં કાકા શરદ પવાર સામે અજિત પવારનો બીજો બળવો મહારાષ્ટ્ર સહન કરશે? અજિત પવાર પણ એક વખત ઠીક હતા, પરંતુ એન.સી.પી.ના લગભગ તમામ દિગ્ગજ નેતાઓનું શું થયું કે તેઓ સામાન્ય રીતે સમગ્ર પક્ષને ભાજપ સાથે લઈ ગયા? હવે એનસીપીનો એક માત્ર ચહેરો શરદ પવાર જ બચ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ચારે તરફ કેન્દ્રીય એજન્સીઓનો ડર છે ત્યારે આવી સ્થિતિમાં, કેટલાક વિશ્લેષકો દલીલ કરે છે કે શરદ પવારે તપાસમાંથી છૂટકારો મેળવવા માટે લગભગ આખી પાર્ટીને ત્યાં મોકલી હશે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથને પણ આવો જ ડર છે. ખુદ ઉદ્ધવ, સંજય રાઉત, અનિલ પરબ જેવા અનેક લોકોની તપાસ ચાલી રહી છે. તેથી જ તેના ઘણા લોકો અલગ થઈને શિંદે સાથે આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શિંદે જૂથ ક્યાં સુધી ટકી શકશે?
મહારાષ્ટ્રના રાજકારણમાં વિચિત્ર સંયોગો બની રહ્યા છે. પ્રફુલ્લ પટેલને ખુશ કરવા કેન્દ્રમાં મંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. આ કટોકટીમાં, શિંદે જૂથ માટે કેન્દ્રમાં એક પણ મંત્રી પદ મેળવવું મુશ્કેલ છે. રાજ્યમાં પણ કતારોમાં બેઠેલા શિંદે જૂથના લોકો મંત્રી બનવાથી વંચિત રહ્યા છે. તેમની નારાજગી અકબંધ રહેશે. પરંતુ હવે ભાજપ માટે હવે આ ચિંતાનો પ્રશ્ન નથી રહ્યો.
એકંદરે મહારાષ્ટ્રની રાજનીતિ સ્વાર્થના દાયરામાં અટવાયેલી જોવા મળી રહી છે. જેના કારણે સર્વત્ર અસ્થિરતાનો માહોલ છે. કોણ કઈ દિશામાં અને ક્યારે જશે તેની કોઈને ખબર નથી. નવા સમીકરણો કેવી રીતે રચાશે તે પણ કહી શકાય નહીં. તૂટેલા લોકોના હૃદય આજે ફરી એક થવા દો. અસંગતતાઓ અને અકલ્પનીય જોડાણો પણ નકારી શકાય તેમ નથી. ધૂંધળા રાજકીય ચિત્રમાં કેટલાક સંકેતો દેખાઈ રહ્યા છે, પરંતુ ચિત્ર સ્પષ્ટ થાય ત્યાં સુધી ચૂંટણીની રાહ જોવી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMIvsSRH: સૂર્યકુમાર યાદવે સદી ફટકારી, મુંબઈએ હૈદરાબાદને વાનખેડેમાં 7 વિકેટે હરાવ્યું
May 06, 2024 11:58 PMરાજકોટમાં મતદાતાઓ માટે "હેરીટેજ" થીમ આધારિત મતદાન મથક બનશે આકર્ષણનું કેન્દ્ર
May 06, 2024 09:19 PMજામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો ભવ્ય રોડ શો યોજાયો
May 06, 2024 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech