ભારત સરકાર આગામી જૂન મહિનાથી ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલા લિપુલેખ દર્રાથી ચીન સાથેનો સરહદી વ્યાપાર ફરી શરૂ કરવા જઈ રહી છે. વર્ષ 2020માં કોવિડ-19 મહામારીને કારણે આ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આ વ્યાપાર જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલશે અને જો હવામાન સાથ આપશે તો સમયગાળો લંબાવવામાં પણ આવી શકે છે.
વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્વ
હિમાલયની પર્વતમાળાઓમાં સ્થિત આ માર્ગ ભારત અને તિબેટ વચ્ચેના વ્યાપાર માટે સદીઓ જૂનો છે. 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ આ માર્ગ બંધ થયો હતો, જે બાદમાં 1992માં ફરી શરૂ કરાયો હતો. 2020માં કોરોનાને કારણે તે ફરી બંધ કરવો પડ્યો હતો.
કૈલાશ માનસરોવર યાત્રા
આ એ જ રસ્તો છે જે કૈલાશ માનસરોવર યાત્રા માટે પણ અત્યંત મહત્વનો ગણાય છે. ગયા વર્ષે યાત્રા શરૂ થયા બાદ વ્યાપારીઓ દ્વારા આ રૂટ ખોલવાની માંગ તેજ બની હતી.
બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક સુવિધાઓ
અંદાજે 17,500 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ માર્ગ પર હવે પહેલા જેવી મુશ્કેલીઓ રહેશે નહીં. વર્ષ 2020માં ધારચુલાથી લિપુલેખ સુધી પાકો રોડ બની જવાથી હવે માલસામાનની હેરફેર ખચ્ચર કે ઘેટાં દ્વારા કરવાને બદલે વાહનો દ્વારા થઈ શકશે. આનાથી સમય અને ખર્ચ બંને બચશે.
ગુંજી વ્યાપાર કેન્દ્ર: વ્યાપારની સુવિધા માટે 'ગુંજી' ખાતે બેંક, કસ્ટમ્સ, મોબાઈલ નેટવર્ક અને સુરક્ષા જેવી તમામ પાયાની જરૂરિયાતો ઊભી કરવામાં આવી રહી છે.
રજિસ્ટ્રેશન: વ્યાપારીઓ અને તેમના સહાયકો માટે નક્કી કરેલા નિયમો મુજબ પરમિટ આપવામાં આવશે, જેના માટે સ્થાનિક વહીવટીતંત્રે તૈયારીઓ તેજ કરી દીધી છે.
નેપાળ સાથેનો વિવાદ અને પ્રાદેશિક સ્થિતિ
લિપુલેખ, કાલાપાણી અને લિમ્પિયાધૂરા વિસ્તારને લઈને નેપાળ લાંબા સમયથી દાવો કરતું આવ્યું છે. 2020માં જ્યારે ભારતે આ માર્ગ પર પાકી સડક બનાવી ત્યારે નેપાળે વિરોધ દર્શાવી નવો નકશો પણ બહાર પાડ્યો હતો. હાલમાં નેપાળની બદલાયેલી રાજનીતિક પરિસ્થિતિ વચ્ચે પણ આ માર્ગ ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે અને વ્યાપાર શરૂ થવાથી આ વિસ્તારમાં ભારતની પકડ વધુ મજબૂત બનશે.
સ્થાનિક અર્થતંત્રને બુસ્ટર ડોઝ
પિથોરાગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ કુમાર ભટગાઈએ જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયની સૂચના બાદ તમામ વિભાગો સાથે બેઠક કરી લેવામાં આવી છે. બહેતર કનેક્ટિવિટીને કારણે આ વખતે વધુ સંખ્યામાં વ્યાપારીઓ ભાગ લે તેવી અપેક્ષા છે, જે સરહદી ગામડાઓના વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે.