આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ ) ના વધતા ઉપયોગને કારણે વિશ્વભરની ટેક અને આઈટી કંપનીઓમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. ખર્ચ ઘટાડવા અને કામગીરી ઝડપી બનાવવા માટે ઘણી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. ટીસીએસ, એક્સેન્ચર, માઈક્રોસોફ્ટ, સેલ્સફોર્સ અને ગુગલ જેવી મોટી કંપનીઓએ તાજેતરમાં પુનર્ગઠન પહેલના ભાગ રૂપે સ્ટાફમાં ઘટાડો કર્યો છે.
ભારતની સૌથી મોટી આઈટી કંપની, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), એ નાણાકીય વર્ષ 2025-26માં આશરે 12,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે, જે તેના કુલ વૈશ્વિક કાર્યબળના આશરે 2 ટકા છે. કંપની હવે એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેના માળખાનું પુનર્ગઠન કરી રહી છે. અહેવાલ મુજબ, ટીસીએસનો એટ્રિશન રેટ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વધીને 13.8% થયો છે, જે પાછલા ક્વાર્ટરમાં 13.3% હતો.
સર્ચ એન્જિન કંપની ગુગલએ લગભગ 100 ડિઝાઇનર કર્મચારીઓની છટણી કરી છે. અહેવાલ મુજબ, આ પગલું તેના એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને બિન-આવશ્યક વિભાગોમાં ખર્ચ ઘટાડવાનો છે.
વિપ્રોએ સત્તાવાર રીતે કોઈ છટણીની પુષ્ટિ કરી નથી, પરંતુ કંપનીએ ખર્ચ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે આશરે 24,516 નોકરીઓમાં ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2024-25 ના અંત સુધીમાં વિપ્રોનો એટ્રિશન દર 15% સુધી પહોંચ્યો હતો, અને કંપનીના કર્મચારીઓની સંખ્યા 614 વધીને 233,346 થઈ હતી.
એક અહેવાલ મુજબ, એચસીએલ ટેક દ્વારા 2024 માં 8,000 થી વધુ નોકરીઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ છટણી કંપનીના પુનર્ગઠન અને હિસ્સાના વેચાણ સંબંધિત નિર્ણયોને કારણે હોવાનું માનવામાં આવે છે. એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટરમાં કંપનીનો એટ્રિશન દર ઘટીને 12.8% થયો, જે પાછલા ક્વાર્ટર કરતા 0.2% ઓછો છે. જોકે, આ છટણીઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.