પીપરટોડા નજીક જામનગરના બ્રાસના ધંધાર્થીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

  • February 01, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પગમાં ઝેરી જનાવર કરડી જતા પડી જવાથી ઇજા થઇ હોવાનું તબીબી તારણ : જી.જી. હોસ્પીટલમાં પીએમ કરાયું : શોકની લાગણી

લાલપુર પંથકના પીપરટોડા નજીક પુલીયા પાસેથી ગઇકાલે એક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ આદરી હતી. દરમ્યાન વાડીએ જતી વેળાએ રસ્તામાં પગના ભાગે ઝેરી જનાવર કરડી જતા તેઓ પડી જતા મૃત્યુ થયાનું પ્રાથમિક દ્રષ્ટીએ તબીબી તારણ આપવામાં આવ્યું છે.
પીપરટોડા નજીક પુલીયા પાસે એક યુવાનનો માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન સાથેનો મૃતદેહ મળી આવતા ૧૦૮ને જાણ કરાઇ હતી, ટુકડી ત્યાં પહોચી હતી અને પોલીસને વાકેફ કરવામાં આવ્યા હતા, લાલપુરના પીએસઆઇ ગોહીલ સહિતનો કાફલો તપાસમાં જોડાયો હતો અને મૃતદેહને પીએમ માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો હતો.
દરમ્યાનમાં મળેલી વિગતો મુજબ મૃતક જામનગરના કીર્તી પાન પાસે રહેતા અને બ્રાસના ધંધા સાથે સંકળાયેલા દિનેશભાઇ શિવાભાઇ સાવલીયા (ઉ.વ.૪૫) હોવાનું બહાર આવ્યુ હતું આથી પરિવારજનોને જાણ કરાઇ હતી અને જી.જી. હોસ્પીટલ ખાતે પેનલ પીએમ કરાવાયુ હતું.
મૃતક યુવાન જામનગરમાં રહેતા હોય અને નવાગામ ખાતે વાડીએ ગઇકાલે પોતાનું બાઇક લઇને જવા માટે નીકળ્યા હતા દરમ્ાન પીપરટોડા નજીક પહોચતા રોડની સાઇડમાં બાઇક રાખીને લઘુશંકા કરવા ગયા હતા, જયાં પગની ઘુંટી પાસે કોઇ ઝેરી જનાવર કરડી જતા તેઓને તમ્મર ચડી જતા નીચે પડી ગયા હતા અને માથાના ભાગે ઇજા પહોચી હોવાનું તબીબી તપાસમાં પ્રાથમિક તારણ આપવામાં આવ્યુ છે જો કે પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application