જામનગરમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરાશે

  • January 04, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૨૯ ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે

ભારતીય ટપાલ વિભાગ દ્વારા યુવાનોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સમયાંતરે અનેકવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુ.પી.યુ.) ૨૦૨૪ ઈન્ટરનેશનલ લેટર રાઈટિંગ કોમ્પિટિશન-૨૦૨૪ ના અનુસંધાને ૯ થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓ માટે પત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ આગામી તા.૨૯ ફેબ્રુઆરી સુધીમાં તેમની તમામ વિગતો સુપ્રિટેન્ડેટ ઓફ પોસ્ટ ઓફિસિઝની કચેરી, બીજો માળ, જામનગર વિભાગ, જામનગર, ૩૬૧૦૦૧- આ સરનામાં પર મોકલી આપવાની રહેશે.
યુ.પી.યુ. દ્વારા ૮ દાયકાથી વધુ સમયગાળા માટે સમગ્ર વિશ્વને આપેલી સેવા અને તમારી આવનારી પેઢીઓને શું સંદેશો આપશો? - આવિષય પર ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કોઈપણ ભાષા અથવા તો અંગ્રેજી ભાષામાં ૮૦૦ શબ્દોમાં વિદ્યાર્થીઓએ પત્ર લખવાનો રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ૩ નંગ, ઉમેદવારનું નામ, જન્મ તારીખનો દાખલો (આધાર કાર્ડની નકલ), ઉમેદવારની જાતિ, પિતાનું/વાલીનું નામ, ઉમેદવારનું સંપૂર્ણ પોસ્ટલ સરનામું અને તેમની શાળા/સંસ્થાનું નામ અને પૂરું સરનામું- આટલી વિગતો મોકલવાની રહેશે. http://www.indiapost.gov.in વેબસાઈટ પર સ્પર્ધાલક્ષી તમામ વિગતો દર્શાવવામાં આવી છે.
આ સ્પર્ધામાં ઝોન/સર્કલ કક્ષાએ પ્રથમ ક્રમાંકના વિજેતાને રૂ.૨૫,૦૦૦, દ્વિતીય ક્રમાંકના વિજેતાને રૂ.૧૦,૦૦૦ અને તૃતીય ક્રમાંકના વિજેતાને રૂ.૫,૦૦૦ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે. તેમજ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકના વિજેતાને રૂ.૫૦,૦૦૦, દ્વિતીય ક્રમાંકના વિજેતાને રૂ.૨૫,૦૦૦ અને તૃતીય ક્રમાંકના વિજેતાને રૂ.૧૦,૦૦૦ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે આવેલી શ્રેષ્ઠ એન્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે સત્તાવાર ભારતીય એન્ટ્રી તરીકે મોકલવામાં આવશે.
યુનિવર્સલ પોસ્ટલ યુનિયન દ્વારા વિજેતા એન્ટ્રીની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવશે. જેમાં પ્રથમ ક્રમાંક માટે સુવર્ણ, બીજા ક્રમાંક માટે રજત અને ત્રીજા ક્રમાંક માટે કાંસ્ય ચંદ્રક અને પ્રમાણપત્ર તેમજ તેમને અન્ય ઈનામો આપવામાં આવશે. સુવર્ણચંદ્રક વિજેતાને સ્વિટ્ઝર્લેન્ડના બર્ન ખાતેના ઞઙઞ મુખ્યમથકની સફર કરવાની તક પ્રાપ્ત થશે, અથવા તો તેમને વૈકલ્પિક પુરસ્કાર પ્રાપ્ત થઈ શકે છે. આ સ્પર્ધા અંગે વધુ જાણકારી મેળવવા માટે, સુપ્રિટેન્ડેટ ઓફ પોસ્ટ ઓફિસિઝની કચેરી, બીજો માળ, જામનગર વિભાગનો સંપર્ક સાધી શકાશે. તેમ સુપ્રિટેન્ડેટ ઓફ પોસ્ટ ઓફિસિઝ, જામનગર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application