જન્માષ્ટમીએ ખીજડા મંદિરથી નીકળશે ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા, ઠેર-ઠેર મટકીફોડ

  • September 05, 2023 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સમિતિમાં ધર્મ પ્રેમીઓ ઉમટી પડ્યા, સમગ્ર રૂટ ઉપર ૧૨ જાહેર સ્થળોએ શોભાયાત્રા દરમિયાન સ્વાગત મટકીફોડના કાર્યક્રમ: પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ સહિતના સંતો-મહંતો હાજર રહેશે: શોભાયાત્રા આઠમના દિવસે સવારે ૮.૩૦ વાગ્યે ખીજડા મંદિરથી નીકળી: શહેરના મુખ્ય માર્ગો પર ફરશે

છોટીકાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૬ વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ ૧૭માં વર્ષે ઉત્તમ આયોજન સાથે નીકળવાની છે. તે પૂર્વે ખીજડા મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૩થી વધુ ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે અને ઠેર ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
જામનગરમાં છેલ્લા દોઢ મહિનાથી જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે તમામ સંસ્થાઓ અને અગ્રણીઓ સાથે ભારે ઉત્સાહથી તળાવમાં તૈયારીઓ કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઘડીયો ગણાય રહી છે ત્યારે શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સાર્વજનિક શોભાયાત્રા ના સુચારુ આયોજન માટે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં સૌપ્રથમ વખત જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ પોતાની કૃતિ અંગે માહિતી આપી હતી તેમજ મટકીફોડના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી. આ સંમેલન દરમિયાન પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજે ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની ભાવપૂર્વક આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આહવાન કર્યું હતું. અને સમયસર લોકોએ પણ શોભાયાત્રા પ્રારંભે જોડાઈ અને સમયનો પણ ખાસ ધ્યાન રાખવા ભાર મૂક્યો હતો. જામનગર શહેરમાં ૧૭માં વર્ષે નીકળી રહેલી શોભાયાત્રા ને લઈને સતતથી વધુ જગ્યાએ જાહેર સ્થળો ઉપર શ્રી કૃષ્ણ જનમાષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા માટે આહવાન કરતા બેનરો લાગ્યા છે આ ઉપરાંત ૫૦૦૦ થી વધુ સ્ટીકરો પણ સૌ પ્રથમ વખત લગાવી બોળો પ્રચાર પ્રસાદ થયો છે. જેને લઇને ખુશી વ્યક્ત કરી સૌ દાતા અને સૌજન્ય આપનાર લોકોને પણ ધન્યવાદ આપી સાધુવાદ પાઠવ્યા હતા. આ તકે શોભાયાત્રાના ફ્લોટસોમાં પણ ઉત્સાહભેર અનેક સંસ્થાઓએ જોડાતા લોકોએ તાળીઓના ગળગળાથી વધાવી લીધી હતી. આ સંમેલનમાં દિલીપભાઈ આશર દ્વારા ઉદૃબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા અને મટકીફોડના કાર્યક્રમ અંગે સમિતિના કિંજલભાઈ કારસરીયાએ સંકલન અંગેની માહિતી આપી હતી. અને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા દ્વારા પણ ત્રિશુલ દીક્ષા તેમજ શોભાયાત્રા ને લઈને આયોજન માટે મંતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અંતે ભિમશીભાઈ પિઠીયા દ્વારા પણ શોભાયાત્રા સંકલન સંમેલનમાં પધારેલા અગ્રણી ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
તા.૭ના ગુરુવારે સવારે ૮:૩૦ કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના સાર્વજનિક શોભાયાત્રા મહોત્સવ અંતર્ગત ખીજડા મંદિર ખાતે સૌપ્રથમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ૨૫૧ નવ યુવાનોને સંતો મહંતો અને ઉપસ્થિત અગ્રણીઓની હાજરીમાં ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે. ત્યારબાદ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાના મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિ પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવશે. અને ખીજડા મંદિરથી શોભાયાત્રા નું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રા ૨૩ થી વધુ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.
જામનગરમાં નીકળી રહેલી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થા, ખોડલધામ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- નાઘેડી, વિશ્વ હિન્દુ પરિષદ, ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, ભાટિયા સમાજ, નવાનગર સેવા સંસ્થા, યોગેશ્વર મહિલા મંડળ-ગાંધીનગર સહિતની સંસ્થાઓ પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાવાની છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે તે પૂર્વે સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા બાદ હવાઈ ચોક પહોંચશે જ્યાં ધર્મ ધજા લહેરાવશે અને નેશનલ પરિવાર વોર્ડ નંબર ૧૩ કેતનભાઇ નાખવા દ્વારા સ્વાગત કરી મટકી ફોડ  કરવામાં આવશે. ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાશે.ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ - મટકી ફોડ કરાશે.ત્યાંથી બર્ધન ચોક વિસ્તારમાં  સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે તેમ જ મટકીફોડ અને પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ યોજાશે ત્યારબાદ દરબારગઢ વિસ્તારમાં શ્વાસ ઇન્ડિયાના ભાર્ગવભાઈ ઠાકર ની ટીમ દ્વારા મટકી ફોડ કરાશે.ત્યાંથી ચાંદી બજારમાં  વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પ્રસાદ વિતરણ તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે જ્યાં રાસ ગરબા પણ કરવામાં આવનાર છે. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે બ્રહ્મ સમાજના જસ્મીનભાઈ વ્યાસ અને તેમની ટીમ દ્વારા સાર્વજનિક શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચશે જ્યાં જય વછરાજ મિત્ર મંડળ, ગઢવાળા દાદા ગ્રુપ દ્વારા મટકી ફોડ કરાશે.ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે
રોટરેટ  ક્લબ ઓફ ઈમેજીકા યુથના વિનોદભાઈ લાખાણી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ જન્માષ્ટમી નિમિત્તે ગાય માતાને સેફ્ટી બેલ્ટ પહેરાવી અકસ્માત નિવારવા પણ ખાસ વિશિષ્ટ આયોજન કરાયું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવશે અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પોતે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંજીતભાઈ નાખવા અને તેની ટીમ દ્વારા આયોજિત મટકી ફોડ થશે. ત્યાંથી પંચેશ્વર ટાવર પાસે ગોપાલક યુવા સંગઠનના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવશે. ત્યારબાદ ભંગાર બજાર તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાનાર છે. આમ ૧૨ થી વધુ જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજવાનું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી નક્કી કરવામાં આવ્યું છે.
જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરેથી નીકળી શહેરના નિર્ધારિત રૂટ કરાયેલા છે તેવા વિવિધ રાજમાર્ગો પર થી ફરી હવાઈ ચોક શોભાયાત્રા સંપન્ન થશે. જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ધર્મ પ્રેમીઓ રાસ ગરબા યોજી શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં અનેરુ ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે અને આ વર્ષે ૧૭મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં સૌથી વધુ સૌથી વધુ ધાર્મિક ફ્લોટ્સ ઉમેરાયા છે અને ૧૨ થી વધુ મટકીફોડ, સ્વાગતના કાર્યક્રમો યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application