મેળા મેદાનમાં ફાઉન્ડેશન વગર ફીટ કરવામાં આવેલી રાઇડસ અંગે તપાસનો ધમધમાટ

  • August 23, 2024 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાને બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મેળા મેદાનમાં ખડકાયેલી રાઇડસ ફાઉન્ડેશન વગર ફીટ કરવામાં આવી છે તેથી નિયમનું ઉલ્લંઘન થતુ હોવાનો આક્ષેપ કરીને ગૃહ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી સુધી ફરિયાદ કરવામાં આવી છે તેથી અધિકારીઓ અને પદાધિકારીઓ મેળા મેદાનમાં તપાસ માટે દોડી ગયા હતા. પોરબંદરના જાગૃત નાગરિક અશોકભાઇ દેવજીભાઇ ગોહેલે ગાંધીનગર ગૃહવિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરીને લેખિત ફરિયાદ કરીને જણાવ્યુ હતુ કે ગુજરાત રાજયની ગાઇડલાઇન અને નવી એસ.ઓ.પી. મુજબ લોકમેળામાં જેમાં નીતિ નિયમો રાજ્ય સરકારે બહાર પાડેલ છે તે નિયમોનું પોરબંદરના લોકમેળામાં પાલન થતુ નથી. ફાઉન્ડેશન ફરજીયાત છે જે કોઇપણ રાઇડસમાં બનાવેલ નથી અને રાઇડસની નીચે લાકડાના ખુંટા અને સપોર્ટથી ફાઉન્ડેશન રાઇડસ ઉભી કરી દેવામાં આવેલ છે. જે ખૂબજ ગંભીર અને તક્ષશીલા અને રાજકોટ ગેમઝોન જેવી ઘટના બને તેવી પૂરેપૂરી શકયતા  અને સંભાવના રહેલી છે.


તા.૧૮-૮-૨૪ના રોજ પોરબંદરના લોકમેળા અને આનંદમેળા માટે રાઇડસો આવેલ જેમાં એન.ડી.ટી. રીપોર્ટ કર્યા વગર, વેલ્ડીંગ રીપોર્ટ કર્યા વગર, સ્ટ્રકચર સ્ટેબીલીટી અને ચાર્ટર્ડ એન્જીનીનયરની તપાસ અને દેખરેખ વિના રાઇડસો પોરબંદરના મેળા ગ્રાઉન્ડમાં ઉભી કરી દેવામાં આવેલ હોય તેવી આશંકા દર્શાવી છે. નોટીફિકેશનના કોઠામાં જણાવેલ તમામ વિગતો અને નિયમો સરકારના ધારાધોરણ મુજબ પાલન કરવામાં આવેલ નથી. માત્રને માત્ર પોરબંદર-છાયા નગરપાલિકા ભ્રષ્ટાચાર અને પૈસા એકઠા કરવાની લાલચમાં આ કૃત્ય કરી રહી છે.તેવો ગંભીર આક્ષેપ અરજદાર અશોકભાઇ ગોહેલે કર્યો છે.
ગુજરાત સરકારે જણાવેલ  નીતિ  નિયમોની ગંભીરતા સમજ્યા વગર અને કોઇ અધિકારી, કર્મચારીની દેખરેખ વગર જન્માષ્ટમી લોકમેળો ખૂબજ જોખમી અને પ્રજાના જાનમાલને નુકશાન થાય તે રીતે હાલ તૈયાર થઇ રહ્યો છે.
ઉપરોકત બાબત ખૂબજ ગંભીર હોય, અને સરકારને અમારી અપીલ છે કે પ્રજાના હિતમાં તાત્કાલિક ધોરણે આ મેળાની કામગીરી નિષ્ઠાવાન અધિકારી, કર્મચારીની ‘ટીમ’ બનાવી તમામ રાઇડસો તેમજ જોખમી મોતનો કુવો તેમજ ચકડોળ, બ્રેકડાન્સ, ટોળેટોળા, નાવડી, શેલંબો, ક્રોસવ્હીલ, ડ્રેગન ટ્રેન જેવી દરેક રાઇડસની જીણવટભરી તપાસ કરવામાં આવે અને જી.એ. ડ્રોઇંગ સાથે માન્ય ગણવા આમારી માંગણી છે અને તેમાં જી.એ. ડ્રોઇંગ વગરની કામગીરીને તાત્કાલિક રોકવા અમારી માંગણી છે. અને પ્રજાના હિતમાં નિયમોનુસાર કામગીરી થાય તો આપણે ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં લઇ પબ્લિક હિત માટે સરકાર આ લોકમેળો સુખમય રીતે પસાર થાય તે માટે તાત્કાલિક એક ટીમ તૈયાર કરી તપાસ હાથ ધરવા અમારી લાગણી અને માંગણી છે.


જેથી અમારી માંગણી છે કે રાઇડસની કોઇપણ ચકાસણી કર્યા વગર ઉભી કરી દેવામાં આવી છે અને કાગળો ઉપર સ્ટેબીલીટી સર્ટીફિકેટ, એન.ડી.ટી. રીપોર્ટ તૈયાર કરવામાં  આવેલ છે અને આ  પ્રમાણપત્રો આપેલા અપાવવામાં આ મેળા કમિટીનો ખાસ રોલ છે, જેની પણ તપાસ કરવામાં આવે અને ‘મેળા  કમિટી’ દોષિત હોય તો તેને બરખાસ્ત કરી કલેકટરે પોતે આ મેળાનું તમામ આયોજન પોતાના હસ્તક લે તેવી અમારી માંગણી છે. આશા છે કે, આપ ઉપરોકત વિષય સંદર્ભે ગંભીરતાપર્વક તાત્કાલિક (સમય ખૂબ ઓછો છે) નિર્ણયાત્મક પગલા લેવા અપીલ છે. તેમ અશોકભાઇ ગોહેલે જણાવ્યુ હતું. 
આ રજૂઆત અનુસંધાને પોરબંદરના વહીવટીતંત્રના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ અને નગરપાલિકાના પદાધિકારીઓ દોડી ગયા હતા અને રેતીના આ મેદાનમાં એકપણ રાઇડસની નીચે સીમેન્ટનું ફાઉન્ડેશન થયુ ન હોવાનું નજરે નિહાળ્યુ હતુ તેથી જમીનના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ૨૧ જેટલી રાઇડસ જોખમી હોય તેવું જણાઇ રહ્યુ છે ત્યારે તંત્ર શેની રાહ જોઇ રહ્યુ છે ? તે સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application