સરકારની આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાત : રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે

  • October 04, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ખુબ મોટી કહી શકાય એવી જાહેરાત કરવામાં આવી છે, રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં 1903 સ્ટાફ નર્સની સીધી ભરતી કરવામાં આવનાર છે. જેને લઈને નર્સીંગની તૈયારી કરતા ઉમેદવારોમાં નોકરી માટેની તક ઉજ્જવળ બની છે.
આરોગ્ય ક્ષેત્રના માળખાને મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે. આ જગ્યાઓ માટે તા. 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. ઓજસ પ્લેટફોર્મના માધ્યમથી લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પધર્ત્મિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. ડોક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફ નર્સ વર્ગ- 3 ની કુલ  7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે.હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફનર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application