નેપાળમાં અતિ ભારે વરસાદના પગલે કોસી બેરેજના 56 દરવાજા ખોલાયા, બિહારમાં તોળાતો પૂરનો ખતરા

  • July 09, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેપાળમાં અતિ ભારે વરસાદના લીધે કોસી બેરેજના તમામ 56 દરવાજા ખોલવામાં આવતા બિહારમાં કોસી નદીમાં જબરો ઉછાળો આવ્યો છે અને નદીનું જળસ્તર વધતા ઘણા ગામોમાં પૂરના પાણી ઘૂસ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. હજારો લોકો બેઘર પ્રભાવિત બન્યા છે.
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદ અને રવિવારે નેપાળમાં કોસી બેરેજના 56 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ તરફ હવે બિહારમાં કોસી નદીમાં ઉછાળો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં પૂરનો ભય છે. કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા બાદ રવિવારે 3 લાખ 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ કોસી નદીનું જળસ્તર વધી ગયું છે અને ઘણા ગામોમાં પૂરના પાણી પહોંચી ગયા છે. જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે.
કોસી નદીમાં પાણીનું સ્તર વધ્યા પછી સુપૌલ, સહરસા અને મધેપુરા જેવા જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે. બિહાર માટે મુશ્કેલી એ છે કે, આ વખતે જુલાઈ મહિનામાં જ કોસી નદીમાં પાણીનું સ્તર જબરજસ્ત વધી ગયું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 44 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે જુલાઈ મહિનામાં કોસી બેરેજમાંથી અંદાજે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સુપૌલ, સહરસા અને મધેપુરા જિલ્લામાં સ્થિતિ એવી છે કે નદીની અંદર સ્થિત સેંકડો ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત ઊંચા સ્થળોએ પહોંચી રહ્યા છે.


નેપાળમાં પૂર અને વરસાદને કારણે સ્થિતિ વણસી
નેપાળમાં કાઠમંડુ, લલિતપુર અને ભક્તપુર જેવા શહેરો સંપૂર્ણપણે ડૂબી ગયેલા જોવા મળે છે. કાઠમંડુના રસ્તાઓ જ્યાં વાહનો ઝડપથી દોડતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓથી ધમધમતું કાઠમંડુ આ દિવસોમાં ઉજ્જડ દેખાઈ રહ્યું છે. સતત વરસાદને કારણે નેપાળના ઘણા જિલ્લાઓએ શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ લાગે છે મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ બાદ અકસ્માત અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે.


પ્રશાસને લોકોને સલામત સ્થળે ખસી જવા આપી ચેતવણી, યુપીમાં પણ અસર
કોસી નદીમાં જે રીતે જળસ્તર વધી રહ્યું છે તેને લઈને સુપૌલ, સહરસા અને મધેપુરા જિલ્લામાં વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચવા માટે સતત ચેતવણી આપી રહ્યું છે. બીજી તરફ ઉત્તર બિહારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. નેપાળમાં સતત વરસાદ બાદ આવેલા પૂરના કારણે યુપીની મુશ્કેલીઓ પણ વધી છે. પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો ભય છે. બગાહામાં ખેતરોમાં કામ કરવા ગયેલા 150 ખેડૂતો પૂરમાં ફસાયા હતા. જોકે, સદનસીબે કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ખેડૂતોનો આબાદ બચાવ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application