"આજે વન્ય પ્રાણી દિવસ" રાજકોટ પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં 65 પ્રજાતિઓના 553 પ્રાણી-પક્ષી, દર વર્ષે લે છે લાખો સહેલાણીઓ મુલાકાત...જાણો વિગત

  • October 04, 2024 09:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનમાં હાલ ૬૫ પ્રજાતિઓના ૫૫3 જેટલા વન્ય પ્રાણી-પક્ષીઓ નિવાસ કરે છે. આ ઝુની દર વર્ષે લાખો સહેલાણીઓ મુલાકાત લે છે. આ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. પ્રદ્યુમ્ન પાર્ક ૧૩૭ એકર વિસ્તારમાં પ્રાણીઉદ્યાન વિકસાવવામા આવ્યુ છે. આ પાર્કનું તા.૧૪-૦૮-૨૦૧૦ના રોજ તે સમયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કર્યું હતું.  


પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રિટેન્ડન્ટ ડો.હિરપરાના જણાવ્યા અનુસાર, એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, રિંછ, મગર, ઘડિયાલ, હરણો, વાંદરા, શ્વાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. 


આ ઝુને રાજકોટના તત્કાલીન રાજવી ઠાકોર સાહેબશ્રી પ્રદ્યુમ્નસિંહજીનું નામ અપાયુ છે. આ વિસ્તારની બે બાજુએ લાલપરી, અન્ય બાજુઓએ રાંદરડા તળાવ તથા કબીર ટેકરીથી ઘેરાયેલ છે. કુદરતી ચઢાણ અને ઉતરાણ અને અનન્ય પ્રાકૃતિક સૌન્દર્ય ધરાવતો આ વિસ્તાર ખુબ જ રમણીય, સોહામણો અને હરિયાળો છે.


લોકોમાં વન્યસૃષ્ટિ વિશે સમજ અને જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે રાજકોટ પ્રાણી ઉદ્યાન દ્વારા તા.૦૨ ઓક્ટોબરથી તા. ૮ ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં પોસ્ટર્સ સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધાઓ અને સ્વચ્છતા ઝુંબેશ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉપરાંત, દર ગુરુવારે બાળકો માટે ફ્રી નેચર એડ્યુકેશન કેમ્પ યોજાય છે જેમાં ખુબ મોટી સંખ્યામાં બાળકો ભાગ લઈને પ્રકૃતિને જાણે અને માણે છે.


ઝુની મુલાકાત દરમિયાન સહેલાણીઓ આનંદિત રહે તેમજ તેમને દરેક જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી ૧૦ બેટરી સંચાલીત કાર, ૬ હટસ, ૬ ઠંડા પાણીના પરબ, ૫ ટોઇલેટ, ૮ રેસ્ટીંગ શેડ, ૮ ક્રિડાંગણ લોન, ૫ ટોઇલેટ બ્લોકસ, ૪ કેન્ટીન, ૧ રેસ્ટોરન્ટ, ૩ બાળ ક્રિડાંગણ, ૫ લોન અને ગાર્ડન, મુલાકાતીઓ માટે ૧૦૦ બેન્ચીસ, ૧૦ વ્હીલ ચેર, ૫ બેબી પ્રામની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. 


ઝુ માં ૩ વર્ષથી નીચેના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ છે.  જ્યારે પુખ્ત વયની વ્યક્તિઓ તથા કેમેરા માટે નિયત પ્રવેશ ટિકિટ રાખવામાં આવી છે. બેટરી સંચાલિત વાહન ૩ વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે છે જ્યારે અન્યો માટે નજીવા દરે આ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે. આ પ્રાણીઉદ્યાન દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામા આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application