કુલ્લુ, શિમલા, મંડીમાં વાદળ ફાટ્યા: 40 લાપત્તા

  • August 01, 2024 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. કુલ્લુના નિરમંડ, મલાણા, શીમલાના રામપુર અને મંડીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય જગ્યાએથી 40 જેટલા લોકો ગુમ થયા છે. બજારમાંથી એક લાશ મળી આવી છે. અહીં 35 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. વાદળ ફાટવાની ઘટના બાદ આજે મંડી વિસ્તારની તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
મંડીના થલતુખોડમાં મધરાતે વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ હતી. અહીં મકાન તૂટી પડવાની માહિતી છે. રોડ કનેક્ટિવિટી પણ ઠપ્પ થઈ ગઈ છે.  એસડીઆરએફ સહિત અન્ય ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. થલતુખોડ પંચાયતના વડા કાલી રામે જણાવ્યું હતું કે તેરાંગ અને રાજબન ગામમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં ઘણા લોકો ગુમ છે. ત્રણ મકાનો ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.
પધાર સબ ડિવિઝનના થલતુખોડમાં વાદળ ફાટવાની ઘટનામાં નવ લોકો ગુમ થયાની માહિતી મળી છે, એક લાશ મળી આવી છે. મંડી જિલ્લા પ્રશાસને બચાવ માટે એરફોર્સને એલર્ટ કરી દીધી છે. જ્યારે મદદની જરૂર પડશે ત્યારે સેવાઓ માંગવામાં આવશે. એનડીઆરએફને પણ મદદ માટે કહેવામાં આવ્યું છે.
આ સિવાય શિમલા- કુલ્લુ બોર્ડર પર વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. 19 લોકો ગુમ થયાના અહેવાલ છે.
કુલ્લુ જિલ્લાના નિરમંડ વિસ્તારના બાગીપુલમાં 8-10 ઘરો ધોવાઈ ગયા છે. જેમાં પટવાર ફૂડ, હોટલ, દુકાનોનો પણ સમાવેશ થાય છે. બાગીપુલમાં સાતથી દસ લોકો ગુમ થયાના અહેવાલ છે. જેમાં એક જ પરિવારના સાત લોકો ગુમ હોવાનું કહેવાય છે. તહસીલદાર સ્થળ પર છે. કોએલ ખાડ સુધી સર્ચ ઓપરેશન ચાલુ છે. નિરમંડમાં ઘણા પુલ ધોવાઈ ગયા છે, મોટાભાગના રસ્તાઓ બંધ છે. બાગીપુલનું બસ સ્ટેન્ડ ગાયબ થઈ ગયું છે. 15 વાહનો પાણીમાં વહી ગયા છે.


નદી કિનારેથી લોકોને ઘર ખાલી કરીને સલામત સ્થળે જવા અપીલ
કુલ્લુ જિલ્લાના મલાણા નાળામાં ભારે વરસાદ દરમિયાન વાદળ ફાટવાને કારણે મલાણા વનના બે પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદ બાદ પાર્વતી નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનથી ઉપર વધી ગયું છે. જિયા, ભુંતર સહિત નદી કિનારે આવેલા તમામ વિસ્તારોના લોકોને તેમના ઘર ખાલી કરીને સલામત સ્થળે જવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે વ્યાસ અને તીર્થન નદીઓમાં પણ પાણીની સપાટી વધી છે. દરેકને નદીઓ અને નાળાઓથી સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application